અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલએ કોરોના કાળમાં પણ કરી કરોડોની કમાણીઃ કેદીઓ બન્યા આત્મ નિર્ભર
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા ઉદ્યોગ-ધંધા ફરીવાર ધમધમતા થવા લાગ્યા છે. કોરોના કાળમાં ઉદ્યોગ-ધંધાને ખૂબ નુકશાની વેઠવી પડી છે. આ વર્ષ દરમિયાન ગુજરાતમાં બેરોજગારીનો દર પણ વધ્યો. પરંતુ ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા આશરે 3.78 કરોડની માતબર આવક કરવામાં આવી હતી. સાથે સાથે નવા કેદીઓ અને નવા વ્યવસાયોની શરૂઆત કરવામાં આવી છે.
કોરોનાના કપરા સમય દરમિયાન ગુજરાતમાં વ્યાપાર ધંધા પર માઠી અસર પહોચી હતી. મોટા ભાગના વ્યવસાયો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જેના કારણે દેશના જી઼ડીપી પણ તળીયે પહોંચી ગયો. પરંતુ આવા સમયમાં પણ ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ આત્મનિર્ભર બન્યા અને એક વર્ષમા 3.78 કરોડની આવક ઉભી કરી છે. જેમાં વણાંટ વિભાગમાં રૂપિયા 1.89 કરોડ, સુથારી વિભાગમાં રૂપિયા 44.10 લાખ, બેકરી વિભાગમાં 52.62 લાખ, ભજીયા વિભાગમાં 26.58 લાખ,દરજી વિભાગમાં રૂપિયા 47.84 લાખ બાઈન્ડીંગ વિભાગમાં રૂપિયા 15.07 લાખ, અને ધોબી વિભાગમાં રૂપિયા 2.62 લાખ કરી હતી.
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા આ આવક ઉભી કરવામાં આવી છે. કોરોના સમય દરમિયાન સરકાર હંમેશા લોકોને આત્મનિર્ભર રહેવા માટે સલાહ આપતી હતી.પરંતુ જેલની દિવાલોમાં કેદ રહેલા કેદીઓ દ્વારા આત્મનિર્ભરતાનો પાઠ વેપારીઓને બતાવ્યો છે. જ્યાં નવા સ્થપાયેલા ઉદ્યાગો પણ બંધ થવાને આરે હતા ત્યાં કેદીઓ દ્વારા નવા ત્રણ ઉદ્યોગો શરુ કરવામાં આવ્યા અને ધીમે ધીમે આત્મનિર્ભર કેદીઓની સંખ્યા પણ વધવા લાગી. સાબરમતી સેન્ટ્રલ જેલ કે જ્યાં 250 કેદીઓ સાથે ઉદ્યોગ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. જે હવે 550 કેદીઓ ને રોજી આપતો થયો છે.એટલે કે જેલમાં રહેતા 550 કેદીઓ આત્મનિર્ભર બન્યા છે. અને તેઓ પરિવાર દ્વારા મોકલાતી રકમ પર નહી પરંતુ પોતાની મહેનતથી પોતાની આવક ઉભી કરતા થયા છે. તો બીજી તરફ જેલ સત્તાધિશો ધ્વારા પણ નવા નવા વિકલ્પો શોધી જેલના કેદીઓને રોજગારી મળે તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આરોપીઓ સજા કાપ્યા બાદ સમાજ વચ્ચે સ્વમાન ભેર જીવી શકે.