બ્રિટનમાં 19 જુલાઈ પછી માસ્ક ફરજીયાત રહેશે નહી, લોકડાઉનના પ્રતિબંધ પણ હટાવવામાં આવ્યા
- બ્રિટનમાં માસ્ક વગર ફરી શકશે લોકો
- બ્રિટનના ગૃહપ્રધાને આપી જાણકારી
- ડેલ્ટા વેરિયન્ટ હજુ પણ ચિંતાનો વિષય
દિલ્હી : બ્રિટનમાં 19 જુલાઇથી લોકડાઉન પ્રતિબંધો હટાવ્યા બાદ માસ્ક પહેરવાનું ‘વ્યક્તિગત ઇચ્છા’ પર નિર્ભર રહેશે. ગૃહપ્રધાન રોબર્ટ જેનરીકે રવિવારે આ માહિતી આપી હતી. બ્રિટનની મીડિયામાં રવિવારે આવેલા અહેવાલો વચ્ચે મંત્રીની આ ટિપ્પણી આવી છે.અહેવાલોએ સંકેત આપ્યો છે કે, વડાપ્રધાન બોરીસ જોનસન આવતા અઠવાડિયે માસ્ક લગાવવાની અનિવાર્યતા ખત્મ કરવાના છે અને અન્ય પગલાંની જાહેરાત કરશે.
જેનરીકેએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે, રસીકરણ કાર્યક્રમની સફળતાને કારણે આપણી પાસે પ્રતિબંધો હટાવવાની અને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની શક્યતા છે. હવે આપણે એક બીજા તબક્કા તરફ આગળ વધવું પડશે. આપણે વાયરસ સાથે રહેવું, સાવચેતી રાખવી અને જવાબદારીપૂર્વક જીવવું શીખવું પડશે. જ્યારે તેમને માસ્ક પહેરવાની જરૂરિયાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હું અત્યારે કોઈ વચન આપી શકતો નથી કારણ કે આગામી દિવસોમાં વડાપ્રધાન ઘોષણા કરશે.
તેમણે કહ્યું કે,જો આંકડા સાચા હોય તો આ કરી શકાય છે. શનિવારે બ્રિટનમાં કોરોના વાયરસ સંક્રમણના 24,885 નવા કેસ નોંધાયા હતા અને 18 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. નેશનલ હેલ્થ સર્વિસના ડેટા મુજબ, યુકેમાં 3 કરોડ ૩૩ લાખથી વધુ લોકોને કોવિડ-19 નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે અને 85 ટકાથી વધુ પુખ્ત લોકોએ પ્રથમ ડોઝ લીધો છે.
બ્રિટનમાં અત્યાર સુધીના આંકડા મુજબ સંક્રમણનું પ્રમાણ ઝડપી હોઈ શકે છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ અને મૃત્યુની સંખ્યા ખૂબ ઓછી છે. એવામાં, શક્ય છે કે રસીકરણને લીધે, કોરોનાનો જીવલેણ ડેલ્ટા વેરિયેન્ટ પણ બ્રિટનમાં જોખમી અસર બતાવી રહ્યો નથી. બ્રિટિશ આરોગ્ય અધિકારીઓ માને છે કે આ રસી ચોક્કસપણે તેનું કામ કરી રહી છે.


