વિકસિત ભારત માટે ટ્રાન્સપોર્ટ ઇકોસિસ્ટમ મજબૂત કરવા ગડકરીની અધિકારીઓને તાકીદ
નવી દિલ્હી, 6 જુલાઈ 2026 : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હી ખાતે નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ (NHLML)ની એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે વિકસાવવામાં આવી રહેલા વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ જેવા કે મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ (MMLPs), રોપવે પ્રોજેક્ટ્સ, ઇન્ટરમોડલ સ્ટેશનો અને હાઇવેની બાજુમાં ઉપલબ્ધ સુવિધાઓ (વે સાઇડ એમિનિટીઝ)ની પ્રોજેક્ટ-સ્તરની પ્રગતિનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન, કેન્દ્રીય મંત્રી ગડકરીએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહેલી સંકલિત પરિવહન ઇકોસિસ્ટમ ના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આ પરિવર્તનકારી પહેલો દેશમાં મલ્ટીમોડલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. તેનાથી માત્ર નવી આર્થિક તકોના દ્વાર જ નહીં ખુલે, પરંતુ સંતુલિત પ્રાદેશિક વિકાસને પણ વેગ મળશે અને વૈશ્વિક સ્તરે ભારતની લોજિસ્ટિક્સ સ્પર્ધાત્મકતામાં મોટો વધારો થશે.”
ગડકરીએ પ્રોજેક્ટના અમલીકરણમાં નડતા મુખ્ય પડકારો અને મુશ્કેલીઓની પણ વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે તમામ સંબંધિત હિતધારકો અને અધિકારીઓને કડક સૂચના આપી હતી કે માર્ગમાં આવતી તમામ અડચણોને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવામાં આવે અને કામગીરીને વધુ ગતિશીલ બનાવવામાં આવે.
તેમણે ઉમેર્યું હતું કે, આ તમામ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થવાથી દેશની લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં ધરખમ સુધારો થશે અને પરિવહન ખર્ચમાં મોટો ઘટાડો થશે. આ સાથે જ મુસાફરો માટે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જે વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવામાં પાયાની ભૂમિકા ભજવશે.


