નેપાળથી લગ્ન કરીને આવેલી મહિલાઓને ભારતીય નાગરિકત્વ મળશે
પટણા, 7 જુલાઈ, 2026 – નેપાળથી લગ્ન કરીને ભારતમાં આવેલી મહિલાઓને ભારતીય નાગરિકત્વ મળશે. આવી મહિલાઓ મુખ્યત્વે બિહારમાં છે અને તેમને વર્ષોની રાહ જોયા બાદ હવે નાગરિકત્વ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
વર્ષોથી નાગરિકતા માટે રાહ જોઈ રહેલી નેપાળી મૂળની મહિલાઓને હવે ભારતીય નાગરિકતા મળવાની છે. ભારત-નેપાળ સરહદ પર આવેલા કિશનગંજ જિલ્લામાં આ અંગે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાના ત્રણ તાલુકા ઠાકુરગંજ, દિઘલબેંક અને ટેઢાગાછમાં નેપાળથી લગ્ન કરીને ભારત આવેલી મહિલાઓની સંખ્યા ખૂબ વધારે છે. આમાંની ઘણી મહિલાઓ વર્ષોથી ભારતમાં પોતાના પરિવાર સાથે રહે છે. પરંતુ કેટલાક લોકોના નામ મતદાર યાદી સુધારણા કાર્ય દરમિયાન અને કેટલાકના જરૂરી દસ્તાવેજોના અભાવે હજી સુધી ભારતીય નાગરિકતા માટે અરજી થઈ શકી નથી.
બિહારના કિશનગંજ જિલ્લામાં પ્રક્રિયા શરૂ
આ મહિલાઓ માટે બિહારના કિશનગંજ જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં 8, 15 અને 22 જુલાઈના રોજ વિશેષ શિબિરો યોજવામાં આવશે. આમાં મહિલાઓને નાગરિકતા અધિનિયમની જોગવાઈઓની માહિતી આપવાની સાથે ઓનલાઈન અરજી, દસ્તાવેજોની ચકાસણી અને પ્રમાણીકરણની પ્રક્રિયામાં પણ મદદ કરવામાં આવશે. આ માટે જિલ્લા અધિકારી નવીન કુમારે તાલુકા વિકાસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. નેપાળી મહિલાઓ ભારતીય નાગરિકતા અધિનિયમ, 1955 ની કલમ 5 (1) (સી) અંતર્ગત વિદેશી મહિલા નોંધણી દ્વારા નાગરિકતા માટે અરજી કરી શકે છે.
કોંગ્રેસને આમાં પણ વાંધો પડ્યો
બીજી તરફ, નાગરિકતા આપવાના મુદ્દે કિશનગંજ સદરના ધારાસભ્ય કમરૂલ હુદાએ જણાવ્યું કે અમારી હંમેશાં એ માંગ રહી છે કે તમામ ધર્મના લોકોને નાગરિકતા આપવી જોઈએ. તેમણે કહ્યું કે માત્ર હિન્દુ જ નહીં પરંતુ અન્ય દેશોમાં રહેતા મુસ્લિમો પણ અત્યાચારનો ભોગ બનેલા છે, જો તેઓ અહીં આવે તો તેમને પણ નાગરિકતા મળવી જોઈએ. હુદાએ જણાવ્યું કે આમાં સુધારો થવો જોઈએ. જો બધાને નાગરિકતા આપવામાં નહીં આવે અને કોઈ ખાસ ધર્મ કે જાતિના લોકોને જ આપવામાં આવશે તો અમે તેનો વિરોધ કરીશું.


