કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે સુરતમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી
સુરત, 9 જુલાઈ, 2026 – કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે સુરતના ભટાર રોડ પર આવેલા આઝાદ નગર રસુલાબાદ ખાતે અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી, વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા અને અસરગ્રસ્તોને બને એટલી ઝડપથી તમામ જરૂરી મદદ પહોંચાડવા વહીવટી તંત્રને કડક તાકીદ કરી હતી. કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત દરમિયાન શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ તથા સ્થાનિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં ગત દિવસોમાં સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. સતત વરસી રહેલા આ મુશળધાર વરસાદને કારણે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર પડી છે.
આ પણ વાંચોઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)નો 78મો સ્થાપના દિવસઃ આ સંગઠન વિશે તમે કેટલું જાણો છો?
ક્યાં ક્યાં વરસાદી પાણી ભરાયું હતું?
શહેરના પ્રમુખ વિસ્તારો જેવા કે વરાછા, કતારગામ, ઉધના, લીંબાયત અને મજુરા ગેટ સહિતના માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયું હતું. ભારે વરસાદ અને નબળા ડ્રેનેજ કલેક્શનના કારણે રસ્તાઓ જાણે નાની નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કાપોદ્રા અને સહારા દરવાજા ગરનાળા (અંડરપાસ) માં પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર માટે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવાની ફરજ પડી હતી.
સુરતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ભટાર રોડ સ્થિત આઝાદ નગર–રસુલાબાદ વિસ્તારની મુલાકાત લઈને સ્થાનિક પરિવારો સાથે રૂબરૂ સંવાદ સાધ્યો. સ્થાનિકોની રજૂઆતો સાંભળી અને વહીવટી તંત્રને તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા તેમજ અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સહાય ઝડપથી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ… pic.twitter.com/juC4c3Ua0r
— C R Paatil (@CRPaatil) July 9, 2026
હજુ ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરતમાં આગામી 48 કલાક માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે અને હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. વરસાદની તીવ્રતાને જોતાં સુરત મહાનગરપાલિકા (SMC) નું વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે હાઈ-કેપેસિટી પંપ તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શક્યતાને પગલે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ગામો અને સિંગણપોર કોઝવે નજીકના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પાલિકા કમિશનરે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ઈમરજન્સી સેવાઓ અને ફાયર બ્રિગેડની ટીમોને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.


