- નશામૂક્ત સ્વસ્થ મન ધરાવતા યુવાનો વિશ્વગુરુ બનવાની પ્રાથમિક જરૂરિયાત છે -યોગસેવક શીશપાલજી
ગાંધીનગર, 16 ઓગસ્ટ, 2026 – સમર્પણ એજ્યુકેશન એન્ડ રીસર્ચ કેમ્પસના નેજા હેઠળ સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગાંધીનગર ખાતે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ દેશના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજી રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે યુવાનોને દેશના ભવિષ્યના ઘડવૈયા ગણાવી નશામુક્ત ભારતના નિર્માણ માટે સતત અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા આહ્વાન કર્યું હતું. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને યોગ આધારિત સ્વસ્થ જીવનશૈલી અપનાવી શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જાળવવા પ્રેરણા આપી હતી.

સમર્પણ એજ્યુકેશન એન્ડ રીસર્ચ કેમ્પસના રજિસ્ટ્રાર ડૉ. એમ.ડી. પાંડે તથા ભગિની સંસ્થાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેએ પોતાના વક્તવ્યમાં સંત રોહિદાસજીની ૬૫૦મી જયંતી વર્ષ નિમિત્તે તેમના સમાનતા, માનવતા અને ભાઈચારાના સંદેશને સ્મરણમાં લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે સંત રોહિદાસ જી કહેતા હતા “જાતિ જાતિ મેં જાતિ હૈ, જો કેતન કે પાત, રૈદાસ મનુષ ના જુડ સકે જબ તક જાતિ ન જાત” ન્યાયી અને સમતામૂલક સમાજના નિર્માણ માટે જાતિ, ધર્મ કે સંપ્રદાયના આધારે કોઈપણ પ્રકારના ભેદભાવને સ્થાન ન હોવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને માનવમાત્ર પ્રત્યે સમાનતા, સન્માન અને સહિષ્ણુતાની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો.

વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રસ્તુતિથી સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત વાતાવરણ સર્જાયું હતું. અધ્યાપકો તથા વહીવટી કર્મચારીઓ, એન.સી.સી. કેડેટ્સ, એન.એસ.એસ. સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓની ઉત્સાહભરી ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને ઊર્જા આપી હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રતિમ યોગદાનને યાદ કરતાં સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આમ, સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિ, સામાજિક સમાનતા, નશામુક્તિ અને સ્વસ્થ જીવનશૈલી જેવા મૂલ્યોનો સંદેશ આપતી પ્રેરણાદાયી બની રહી હતી.

