કોરોનાની વેક્સિન છતા આવતા શિયાળા સુધી માસ્ક પહેરવું પડશે, બ્રિટનના વૈજ્ઞાનિકોનો મત
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના લોકો કોરોના સામે લડી રહ્યાં છે. બ્રિટનમાં વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જ્યારે ભારતમાં આગામી દિવસોમાં વેક્સિન આવી જશે. ભારતમાં હાલ 3 રસીનું અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલી રહ્યું છે. દરમિયાન બ્રિટનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, રસી આવી ગયા બાદ પણ લોકોએ આગામી શિયાળા સુધી માસ્ક પહેરવું પડી શકે છે.
બ્રિટનના વૈજ્ઞાનિકોના મતે દુનિયાભરના લોકોએ ખૂબ લાંબા સમય સુધી કોરોના અંગે નક્કી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. લોકોએ સાવચેત પણ રહેવું પડશે. વેક્સીન આવી ગયા છતાં લોકોએ આગામી શિયાળા સુધી માસ્ક પહેરવું પડી શકે છે.
બ્રિટન સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પેટ્રિક વાલેન્સના કહેવા પ્રમાણે વેક્સીન પોતાનું કામ કરતી રહેશે પરંતુ આ દરમિયાન લોકોએ સાવધાની રાખવી પડશે. વેક્સીને અને સાવધાનીને પગલે કોરોના તેમનાથી દૂર રહેશે. આ સાથે જ લોકોએ કોરોનાની ગાઇડલાઇનનું લાંબા સમય સુધી પાલન કરવું પડશે.
WHO દ્વારા પણ કોરોનાવાયરસને લઈને લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતુ કે કોરોનાવાયરસની વેક્સિન તો બની જશે પરંતુ તેને પુરતા પ્રમાણમાં બનતા થોડી વાર લાગી શકે તેમ છે.. તો કોરોનાવાયરસની વેક્સિન બની ગયા બાદ પણ લોકોએ સાવચેતી રાખવી પડશે અને પુરતા પ્રમાણમાં વેક્સિનના ડોઝ ન બને ત્યાં સુધી લાપરવાહી કે બેદરકારી કોઈ કરવી જોઈએ નહી.