હિમાચલમાં પસાર થઈ રહેલી ટાટા સૂમો ઉપર વિશાળ પથ્થર પડ્યો, 13 મુસાફર દબાઈ ગયા
શિમલા, 24 જુલાઈ, 2026 – હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર યથાવત્ છે. આજે શુક્રવારે અહીં ચંબા જિલ્લાના પાંગી-ઉદયપુર માર્ગ પર કડૂ (કાહુડૂ) નાળા પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો. અહીં પહાડ પરથી એક વિશાળ ખડકનો હિસ્સો તૂટી પડ્યો જે સીધો એક સૂમો ગાડી ઉપર પડ્યો હતો જેને કારણે તેમાં મુસાફરી કરી રહેલા ડ્રાઈવર સહિત 13 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે.
મીડિયા અહેવાલ અનુસાર સૂમો ગાડી કુલ્લુથી પાંગી તરફ જઈ રહી હતી. ગાડીમાં ચાલક સહિત કુલ 15 લોકો સવાર હતા. આ દરમિયાન કડૂ નાળા પાસે અચાનક પહાડ પરથી ખડક તૂટી પડ્યો, જે સીધો ગાડી ઉપર પડતા ગાડી લગભગ સંપૂર્ણ નષ્ટ પામી હતી.
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સંદર્ભે સરકારે રાજ્યસભામાં દાખલ કર્યો અગત્યનો ખરડો, જાણો વિગતો
મૃતકોમાં વાહન ચાલક બીર સિંહ પણ સામેલ છે. આ અકસ્માત લાહૌલ-સ્પીતિ જિલ્લા હેઠળ આવતા વિસ્તારમાં થયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, પ્રશાસન અને રાહત-બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી જારી છે તથા મૃતકોની ઓળખ અને અકસ્માતના કારણોની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.
ઉદયપુર-કિલાડ માર્ગ એક દિવસ પહેલા ભૂસ્ખલનના કારણે બંધ હતો. આ જ કારણે ટેક્સીમાં સવાર તમામ મુસાફરો તિંદીમાં રોકાયેલા હતા. શુક્રવારે રસ્તો પૂર્વવત ચાલુ થયા બાદ વાહન પાંગી તરફ રવાના થયું, પરંતુ કડૂ નાળા પાસે અચાનક પહાડનો મોટો હિસ્સો ધસી પડ્યો અને ટેક્સી તેની ચપેટમાં આવી ગઈ.
ઈજાગ્રસ્તોને બહાર કઢાયા
સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં બચાવ ટુકડીએ કાટમાળમાંથી 1 વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી લીધો છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. અન્ય મૃત મુસાફરોની ઓળખ કરવામાં આવી રહી છે અને કાટમાળ હટાવવાની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. પ્રશાસને હાલ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું છે કે બચાવ અભિયાન પૂર્ણ થયા બાદ જ મુસાફરોની સંખ્યા અને જાનહાનિ વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવશે. આ અગાઉ ચંબામાં પણ એક ટ્રક 800 મીટર ઊંડી ખીણની ઉપર લટકી ગઈ હતી, પરંતુ ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે અકસ્માત ટળી ગયો હતો.


