અમદાવાદઃ રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરીજનોને યોગ્યભાવે ભેળસેળ વિનાની શુદ્ધ વસ્તુઓ મળી રહે તે માટે મ્યુનિ.કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના મીઠાઈ અને ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સુચના આપી હતી. મ્યુનિના ફૂડ અધિકારી ડો. ભાવિન જોશી દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમો, રૂલ્સ અને રેગ્યુલેશનની સમજણ, અને જાણકારી આપવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં આવેલી મીઠાઈ- ફરસાણની દુકાનોમાં અખાદ્ય અને અનહાઇજેનિક પરિસ્થિતિમાં વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવતું હોય છે આગામી દિવસોમાં તહેવારોની સીઝન આવતી હોવાથી મીઠાઈ અને ફરસાણનું વધુ વેચાણ થશે. ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન વેપારીઓ દ્વારા કરવામાં આવે તેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ફૂડ અધિકારી ડો. ભાવિન જોશી દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમો, રૂલ્સ અને રેગ્યુલેશનની સમજણ, જાણકારી આપવા મીઠાઇ, ફરસાણ સાથે સંકળાયેલા વેપારીઓ, ફુડ બિઝનેસ ઓપરેટરો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટીંગમાં 75થી વધુ મીઠાઇ, ફરસાણના પ્રમુખ, સેક્રેટરી તેમજ અન્ય મીઠાઈ, ફરસાણના ફુડ બીઝનેસ ઓપરેટરો હાજર રહ્યાં હતાં.
મ્યુનિ.ના ફુડ વિભાગના અધિકારી દ્વારા વેપારીઓને ફૂડ સેફ્ટીના નિયમો ઉપરાંત દુકાનોમાં હાઇજીન કંન્ડીશન, સ્વચ્છતા, લાયસન્સ, ૨જીસ્ટ્રેશન / હાઇજીન રેટીંગ તેમજ ફુડ સેફટીના નિયમો અંગે જરૂરી સમજણ આપવામાં આવી હતી. હાજર રહેલા ફુડ બીઝનેસ ઓપરેટરો દ્વારા મીટીંગમાં ચર્ચાયેલા મુદાઓ બાબતે હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા અલગ અલગ વોર્ડ વાઇઝ ખાધ્ય પદાર્થનો ધંધો કરતા એકમો, મીઠાઈ, ફરસાણના ધંધાઓ, પાણીપુરી વાળી જગ્યા, હોટલ/રેસ્ટોરન્ટનું સધન ચેકીંગની કામગીરી કરવામાં આવશે તેમજ આવનારા દિવસોમાં લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમોનું પણ સધન ચેકીંગ કરવામાં આવશે અને ચેકીંગ દરમિયાન લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો જણાશે તો સીલ બંધ સુધીના કડક પગલા ભરવામાં આવશે.