1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન, પ્રશ્નનું નિરાકરણ ન કરાય તો વિધાનસભાને ઘેરાવ કરાશે
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન, પ્રશ્નનું નિરાકરણ ન કરાય તો વિધાનસભાને ઘેરાવ કરાશે

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન, પ્રશ્નનું નિરાકરણ ન કરાય તો વિધાનસભાને ઘેરાવ કરાશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. અને ચૂંટણીની જાહેરાત કદાચ આ મહિનાના અંત સુધીમાં થવાની શક્યતા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ત્યારે ભાજપની સરકાર સામે વિવિધ કર્મચારી મંડળો, ખેડુતો, નિવૃત આર્મી જવાનો, સહિતના આંદોલનો માથાના દુઃખાવારૂપ બનતા જાય છે. કર્મચારીઓ પોતાના પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન કરવા મક્કમ બન્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓને પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે  આક્રમક બન્યા છે. ગુરૂવારે ગાંધીનગરમાં રાજ્યભરના હજારો કર્મચારીઓ ધરણા કર્યા હતા અને હવે પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના આરોગ્ય કર્મચારીઓના મુખ્ય ત્રણ પ્રશ્નો અંગે સરકારે ઉકેલ ન લાવતા હવે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિધાનસભા, સચિવાલયને ઘેરાવ સહિત તબક્કાવાર આક્રમક આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે રણનીતિ પણ તૈયાર કરી દેવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓના મંડળના પ્રમુખ રણજિતસિંહ મોરીના કહેવા મુજબ ગુજરાત સરકાર મંત્રણા કરીને આરોગ્ય કર્મચારીઓને માત્ર લોલીપોપ જ આપે છે, એટલું જ નહીં હવે સરકાર અમારા માટે કોઈ સત્તાવાર નિર્ણય કરી અને તેનો જીઆર કે પરિપત્ર નહીં કરે તો રાજ્ય સરકારના તમામ આરોગ્ય કર્મચારીઓ આક્રમક બનીને સરકાર સામે મોરચો માંડશે.

રાજ્યના આરોગ્ય કર્મચારી મંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુરૂવારે સચિવાલય ઘેરાવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેના માટે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર આવી પહોંચ્યા હતા. આજે શુક્રવાર એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે મહારેલીનું યોજાશે. જ્યારે 17મી તારીખે આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રેલી સાથે ધરણા કાર્યક્રમ કરશે. જ્યારે 19મી તારીખે આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે સચિવાલયનો ઘેરાવ કરવાનો પ્રયત્ન કરશે. જ્યારે 20મી તારીખે આક્રમક બની જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્ય સરકારના પંચાયતના 18 હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ અને તેમનો પરિવાર ભૂખ હડતાળ ઉપર ઊતરવાનું એલાન કરવામાં આવ્યું છે. છેલ્લા 38 દિવસથી ચાલતી આ હડતાલનો અંત નહીં આવવાના કારણે હવે રાજ્ય સરકારના આરોગ્ય કર્મચારીઓએ ઉગ્ર અને આક્રમક આંદોલન આપવાની ચીમકી ઉચ્ચારી છે.

અત્રે ઉલ્લેખનિય છે. કે,  રાજ્ય સરકારના પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ અંગે ગત ૩૦ ઓગસ્ટે સરકાર સાથે થયેલી બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં જ આરોગ્ય કર્મચારીઓનું મંડળ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. પરિણામે આરોગ્ય કર્મચારીઓની હડતાલ અસમંજસ સ્થિતિમાં આવી ગઈ હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code