
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ, 139 બ્રેઈનડેડ દર્દીઓએ કર્યું અંગદાન
ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અંગદાનનું સેવાકાર્ય આજે ફક્ત ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ઝઝુમી રહ્યું હતુ, બીજી લહેરની શરૂઆત થવાની હતી આ પરિસ્થિતીઓની વચ્ચે 27 મી ડિસેમ્બર 2020ની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન થયું હતુ. રાજ્ય સરકારના SOTTO(State Organ Tissue And Transplant Organisation) ના સહયોગ અને સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોની ટીમના સહિયારા પ્રયાસોથી અંગદાનની શરૂઆત થઇ હતી. ફેબ્રુઆરી અંત સુધીમાં લગભગ 5 થી 6 જેટલા અંગદાન થયા હતા પછી કોરોનાની બીજી લહેરની શરૂઆત થઇ. કોરોનાની આ બીજી લહેર વચ્ચે પણ અંગદાનનું સેવાકાર્ય અડિખમ રીતે ચાલતું જ રહ્યું છે. આજે અંગદાનના આરંભને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષમાં કુલ 169 વ્યક્તિઓ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. જેમાં 139 બ્રેઇનડેડ વ્યક્તિઓના સ્વજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી (અત્રે નોંધનીય છે કે, અંગદાન એ ઇચ્છાશક્તિ થી થતુ દાન છે જે માટે ક્યારે કોઇ તબીબ કે વ્યક્તિ કે સરકાર દ્વારા ફરજ પાડવામાં આવતી નથી).
અમદાવાદની સિવિલ હોસ્પિટલને 139 બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં 443 જેટલા અંગો મળ્યા જેને 426 જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેમાં કોઇક હ્રદય, કિડની , લીવરના અંગોની તકલીફના કારણે લાંબા સમયથી પીડામાંથી પસાર થઇ રહ્યાં હતા તેઓને નવજીવન મળ્યું છે. આ 426 પરિવારોના જીવનમાં નવીન ઉજાસ પાથરવા, સમગ્ર પરિવારમાં સુખનો સુરજ ઉગાવવાનું ઉમદા કાર્ય આ 139 બ્રેઇનડેડ અંગદાતાઓ દ્વારા કરવામાં આવ્યું છે. અંગદાનથી જીવનદાનના આ ધ્યેયમંત્રને સિધ્ધ કરવા માટે 44 વખત ગ્રીનકોરિડોરનું નિર્માણ કરીને અંગોને સત્વરે એક છેડાથી બીજે છેડે ગણતરીની મીનિટોમાં પહોંચાડવામાં આવ્યું છે.
(PHOTO-FILE)