અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં હતા. દરમિયાન વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ કોરોના, મૃતકો અને તેમની સારવાર મુદ્દે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન લેવલ ઘટી જતા અનેક દર્દીઓના પરિવારજનોએ રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે દોડાદોડ કરી હતી. બીજી તરફ ઈન્જેકશનની ભારે અછત સર્જાઈ હતી. આ સમયગાળામાં અમદાવાદમાંથી 56 લોકોને ગેરકાયદે રેમડેસિવિર જથ્થા ઝડપી લીધા હતા. જો કે, હાલ કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં રેમડેસિવર ઈન્જેક્શનના ગેરકાયદે જથ્થાના મુદ્દે સામે આવ્યા છે. અમદાવાદમાં 56 વ્યક્તિ અને વડોદરામાં 15 વ્યક્તિ પાસે ગેરકાયદે જથ્થો પકડાયો હતો. 54 ઈસમ સામે કોર્ટમાં કેસ દાખલ થયા, જ્યારે 17 ઈસમ સામે કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે. સરકારે અન્ય સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કોરોનાને કારણે કુલ 14 આરોગ્ય અધિકારી કર્મચારીનાં મૃત્યુ થયાં હતાં, જે પૈકી 11 આરોગ્ય અધિકારી કર્મચારીઓના પરિવારને સહાય ચૂકવામાં આવી છે. પરિવારજનોને પ્રતિ કોરોના વોરિયર્સને રૂપિયા 50 લાખની સહાય ચૂકવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ત્રીજી લહેર પહેલા રાજ્યમાં 100 ટકા રસીકરણ માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા સંતાનોને પણ સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવી રહી છે.