અમદાવાદમાં રૂપિયા 60ના ભાડામાં 19 મંદિરોની યાત્રા હવે AMTS કરાવશે
અમદાવાદઃ શ્રાવણ મહિના દરમિયાન મંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શન કરવાનું વિશેષ મહાત્મય છે. એટલે જ તમામ મંદિરોમાં ભાવિક-ભક્તોની સારીએવી ભીડ જોવા મળતી હોય છે. અમદાવાદ શહેરમાં અનેક મંદિરો આવેલા છે, તેમાં કેટલાક મંદિરોમાં દર્શનનું સવિશેષ મહાત્મય છે. પણ ઘણા ભાવિકો મંદિરો જુદા જુદા વિસ્તારોમાં આવેલા હોવાથી તમામ મંદિરોમાં દર્શનનો લાભ લઈ શક્તા નથી. તેથી એએમટીએસ દ્વારા માત્ર રૂપિયા 60ના ભાડામાં શહેરના 19 મંદિરોની યાત્રા કરાવાશે.
અષાઢ મહિનાની વિદાય અને શ્રાવણ મહિનાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે શ્રાવણ માસ દરમિયાન ભકતો માટે એક ખાસ જાહેરાત કરી છે. એએમટીએસે શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે એક ખાસ જાહેરાત કરી છે. એએમટીએસે શ્રાવણમાં નાગરિકો માટે એક ખાસ ધાર્મિક યાત્રાની જાહેરાત કરી છે. જેમાં શહેરના 19 ધાર્મિક સ્થળો પર સીટી બસ દ્વારા મુલાકાત કરાવવાના આવશે જે માટે અમદાવાદીઓએ માત્ર રૂ.60 ભાડું આપવાનું થશે જયારે બાળકો માટે આ ટ્રિપની ટિકીટ 30 રૂ. રાખવામાં આવી છે. આ યોજના માટે ઓછામાં ઓછા 40 મુસાફરો મળતા જ આ યાત્રાનો આનંદ લઇ શકશે. આ યાત્રામાં જલારામ મંદીર, ઇસ્કોન મંદિર, ગુરુદ્વારા, હરેકૃષ્ણ મંદિર, સોલા ભાગવત વિદ્યાપીઠ, તિરૂપતી બાલાજી, વૈષ્ણોદેવી મંદિર, ત્રિ મંદિર, મહાકાળી મંદિર, નીલકંઠ મહાદેવ, કર્ણમુક્તેશ્વર મહાદેવ સહિતના મંદિરો સામેલ છે. આ ખાસ યાત્રા માટે લાલ દરવાજા, સારંગપુર, મણિનગર અને વાડજ ટર્મિનસથી બસ સેવાનો લાભ મેળવી શકાશે.