સવારે આંખોમાં જામતી પપડી કે ચીપડા શું કોઈ ગંભીર બીમારીનો સંકેત છે?
સવારે ઉઠતાની સાથે જ જો આંખના ખૂણામાં ચીકણો અથવા સુકાયેલો કચરો જોવા મળે, તો તેને સામાન્ય રીતે આપણે ‘આંખના ચીપડા’ કહીએ છીએ. મોટાભાગના કિસ્સામાં આ પ્રક્રિયા સામાન્ય હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક આ પપડી તમારા સ્વાસ્થ્ય વિશે મોટો સંકેત આપી શકે છે? એક હેલ્થ વેબસાઇટના અહેવાલ મુજબ, આંખનો આ કચરો ખરેખર એક પ્રકારનું ડિસ્ચાર્જ છે, જે ઊંઘ દરમિયાન સુકાઈ જવાથી કઠણ કે ચીકણું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે આપણે સૂતા હોઈએ છીએ, ત્યારે આપણી પલકો ઝબકતી નથી. સામાન્ય રીતે જાગતા હોઈએ ત્યારે પલકો ઝબકવાને કારણે આંખનું પ્રવાહી સાફ થતું રહે છે, પરંતુ ઊંઘમાં આ કુદરતી ડિસ્ચાર્જ ખૂણામાં જમા થાય છે. જો તે સાફ અને પાતળું હોય તો ચિંતાની વાત નથી, પરંતુ જો તેનો રંગ પીળો કે લીલો હોય તો સાવધાન થવાની જરૂર છે.
- આ કારણો હોઈ શકે છે જવાબદાર
બ્લોકેજ ટિયર ડક્ટ: આંખની નળીઓમાં અવરોધ આવવાને કારણે આંસુ યોગ્ય રીતે વહી શકતા નથી, જેનાથી આંખ લાલ થવી અને પીળો-લીલો કચરો જમા થવો જેવી સમસ્યા થાય છે.
એલર્જી: ધૂળ, રજકણ કે પાલતુ પ્રાણીઓના વાળને કારણે થતી એલર્જીથી આંખોમાં ખંજવાળ, સોજો અને પપડી જામી શકે છે.
ડ્રાય આઈ (સૂકી આંખો): જો આંખમાં પૂરતા આંસુ ન બનતા હોય, તો બળતરા અને ચીકણો પદાર્થ જમા થાય છે.
કંજક્ટિવાઈટિસ (આંખ આવવી): બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં આંખોમાંથી ઘટ્ટ અને રંગીન સ્ત્રાવ નીકળે છે, જે પ્રકાશ સામે જોવામાં તકલીફ ઉભી કરી શકે છે.
બ્લેફરાઈટિસ: આ સ્થિતિમાં પાંપણોના કિનારે સોજો આવે છે અને પાંપણો એકબીજા સાથે ચોંટી જાય છે.
-
ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો?
જો તમને નીચે મુજબના લક્ષણો જણાય, તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે આંખના નિષ્ણાત પાસે જવું હિતાવહ છે:
આંખોમાં અસહ્ય દુખાવો કે સોજો આવવો.
દ્રષ્ટિ ધૂંધળી થવી.
પ્રકાશ સહન ન કરી શકવો.
ઘટ્ટ પીળો કે લીલો પરુ જેવો સ્ત્રાવ નીકળવો.
- બચાવ અને સારવાર
સામાન્ય પપડીને દૂર કરવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકાય છે. સ્વચ્છ કપડાથી હળવા હાથે આંખો સાફ કરવી જોઈએ. ચેપથી બચવા માટે વારંવાર હાથ ધોવા અને આંખોને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. જો સમસ્યા ગંભીર હોય, તો ડૉક્ટરની સલાહ મુજબ આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.


