1. Home
  2. ગુજરાતી
  3. જો ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો સાવચેત રહેજો, હાર્ટ એટેક જોખમ વધશે
જો ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો સાવચેત રહેજો, હાર્ટ એટેક જોખમ વધશે

જો ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો સાવચેત રહેજો, હાર્ટ એટેક જોખમ વધશે

0
Social Share

ઘણા લોકો ઊંઘને શરીરના આરામ અને રિકવરીનો સમય માને છે, પરંતુ દુનિયાભરમાં લાખો લોકો માટે આ ઊંઘ એટલી શાંતિદાયક હોતી નથી જેટલી હોવી જોઈએ. ‘યુરોપિયન કોંગ્રેસ ઓન ઓબેસિટી 2026’ માં રજૂ કરવામાં આવેલા એક તાજેતરના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિસર્ચ મુજબ, ‘ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા’ (ઓએસએ) થી પીડાતા લોકોમાં હૃદય રોગ અથવા મૃત્યુનું જોખમ સામાન્ય લોકો કરતા 71 ટકા વધુ હોઈ શકે છે.

સ્લીપ એપ્નિયા એ ઊંઘ સંબંધિત એક ગંભીર વિકાર છે, જેમાં સૂતી વખતે વારંવાર શ્વાસ લેવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય છે. જ્યારે ગળાના સ્નાયુઓ શિથિલ થઈ જાય છે અને વાયુમાર્ગ બ્લોક થઈ જાય છે, ત્યારે શ્વાસ થોડા સમય માટે અટકી જાય છે. શરીર તરત જ પ્રતિક્રિયા આપે છે અને વ્યક્તિ જાગી જાય છે જેથી શ્વાસ ફરી શરૂ થઈ શકે. આ પ્રક્રિયા આખી રાત અનેકવાર પુનરાવર્તિત થાય છે, જેના કારણે લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે. લાંબા ગાળે આ સમસ્યાને કારણે બ્લડ પ્રેશર વધે છે, હૃદયના ધબકારા અનિયમિત થાય છે અને હૃદયની નળીઓ પર ભારે દબાણ આવે છે.

  • અંદાજે 29 લાખ લોકોના હેલ્થ રેકોર્ડનો અભ્યાસ

લંડનની ઈમ્પીરીયલ કોલેજ હેલ્થ પાર્ટનર્સના વૈજ્ઞાનિકોએ અંદાજે 29 લાખ લોકોના હેલ્થ રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો. રિસર્ચમાં જાણવા મળ્યું કે સ્લીપ એપ્નિયાના 40 થી 70 ટકા દર્દીઓ ઓવરવેટ અથવા મેદસ્વી હોય છે. ગરદનની આસપાસ જમા થયેલી ચરબી શ્વાસ લેવાના માર્ગને સાંકડો કરી દે છે, જેનાથી સમસ્યા વધુ વિકરાળ બને છે.

અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે, સ્લીપ એપ્નિયાવાળા અંદાજે 26 ટકા લોકોને હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા મૃત્યુ જેવી ગંભીર સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાથી પીડાતા લોકોમાં ડાયાબિટીસ, સાંધાના દુખાવા અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો પણ વધુ જોવા મળી હતી. સ્લીપ એપ્નિયા વજન ઘટાડવાની પ્રક્રિયાને પણ મુશ્કેલ બનાવી દે છે, જે એક ખતરનાક ચક્ર બની જાય છે.

રાહતની વાત એ છે કે આ બીમારીનો ઇલાજ શક્ય છે. ‘CPAP’ જેવી મશીનો સૂતી વખતે વાયુમાર્ગને ખુલ્લો રાખવામાં મદદ કરે છે. જોકે, સૌથી મોટી સમસ્યા એ છે કે લોકો તેને સામાન્ય નસકોરાં માનીને અવગણના કરે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે જો તમને દિવસભર ખૂબ થાક લાગતો હોય, સવારે માથું દુખતું હોય અથવા ઊંઘમાં શ્વાસ રૂંધાતો હોય, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code