બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને જામીન તો મળ્યા, પરંતુ…
ઢાકા, 3 ઓગસ્ટ, 2026 – બાંગ્લાદેશની હાઈકોર્ટે રવિવાર, 2 ઓગસ્ટના રોજ જેલમાં બંધ હિન્દુ અધિકારોના નેતા ચિન્મય કૃષ્ણ દાસને બે કેસોમાં જામીન આપ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ તેમના વકીલે આ માહિતી આપી હતી. જોકે, આ જામીનનો અર્થ એ નથી કે તેઓ તરત જ જેલમાંથી બહાર આવી જશે, કારણ કે તેમની સામે હજુ પણ ચાર અન્ય કેસ ચાલી રહ્યા છે. ચિન્મય કૃષ્ણ દાસ એક હિન્દુ સંત છે, જેમની નવેમ્બર 2024માં બાંગ્લાદેશમાં દેશદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
ચિન્મય કૃષ્ણદાસ પર બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ હતો. તેમની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ દ્વારા વિરોધ પ્રદર્શનો થયા હતા અને કોમી તણાવ વધી ગયો હતો. બાદમાં તેમની સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને તોડફોડ સહિતના અન્ય ઘણા કેસ નોંધવામાં આવ્યા હતા. તે સમયે તેમની ધરપકડ પર ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને બાંગ્લાદેશ સરકારને હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું.
ચિન્મય દાસના વકીલે શું કહ્યું?
ચિન્મય કૃષ્ણ દાસના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ રવિવારે જણાવ્યું હતું કે હાઈકોર્ટની બે જજોની બેન્ચે હત્યાનો પ્રયાસ, તોડફોડ અને સરકારી અધિકારીઓને પોતાની ફરજ બજાવતા રોકવા સંબંધિત બે કેસોમાં તેમની જામીન અરજી મંજૂર કરી છે. સરકારી પક્ષ અને બચાવ પક્ષ, બંનેના વકીલોએ જણાવ્યું કે આ ચુકાદા છતાં ચિન્મય કૃષ્ણ દાસની તરત જ મુક્તિ નહીં થાય, કારણ કે તેમની સામે દેશદ્રોહ અને હત્યા સહિતના ચાર અન્ય કેસ હજુ પણ પેન્ડિંગ છે.
હત્યાનો કેસ એ ઘટના સાથે જોડાયેલો છે, જેમાં દક્ષિણ-પૂર્વ બંદર શહેર ચટ્ટોગ્રામ (ચિત્તાગોંગ)માં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો વચ્ચે એક સરકારી વકીલનું મૃત્યુ થયું હતું. ચિન્મય કૃષ્ણ દાસ અગાઉ ઇસ્કોન (ISKCON) સાથે જોડાયેલા હતા. તેઓ “સમ્મિલિત સનાતન જાગરણ જોત” નામના એક હિન્દુ સંગઠનના પ્રવક્તા છે. આ સંગઠને 2024માં બાંગ્લાદેશમાં ઘણી રેલીઓ કરી હતી. આ રેલીઓમાં લઘુમતીઓના અધિકારો, તેમની સુરક્ષા અને હિંસા સામે રક્ષણની માંગ કરવામાં આવી હતી. આ પ્રદર્શનો વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા મોટા અને હિંસક આંદોલનો બાદ શેખ હસીનાના સત્તા પરથી હટ્યા પછી થયા હતા.
ચિન્મય કૃષ્ણ દાસ સામે ચાલી રહેલા તમામ કેસ અલગ-અલગ અદાલતોમાં અલગ-અલગ તબક્કામાં છે. તેમના વકીલ લાંબા સમયથી જામીનની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે ચિન્મય કૃષ્ણ દાસ લાંબા સમયથી બીમાર હાલતમાં જેલમાં બંધ છે. આ અગાઉ તેમની કેટલીય જામીન અરજીઓ કાં તો ફગાવી દેવામાં આવી હતી અથવા તેના પર સ્ટે મૂકવામાં આવ્યો હતો.


