કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી “છાત્રો કી ગૂંજ” અભિયાનના પ્રારંભની જાહેરાત
અમદાવાદ, 25 જૂન, 2026 – કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી “છાત્રો કી ગૂંજ” અભિયાનનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભમાં આજે શહેરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
પત્રકાર પરિષદને સંબોધતા મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સતેજ પાટીલે અને અમદાવાદ શહેર સંયોજક શેષ નારાયણ ઓઝાએ થતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કહ્યું હતું કે, ભારત દેશમાં NEET પરીક્ષાના પેપર લીક થવાના લીધે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો ઊભો થયો છે. હાલના સમયમાં કોંગ્રેસ પાર્ટીએ વિદ્યાર્થી માટે ચિંતીત છે. એ સંદર્ભમાં અમદાવાદ ખાતે ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી સતેજ પાટીલે જણાવ્યું હતું કે, હાલના સમયમાં ભાજપ સરકારની ભ્રષ્ટનીતિના લીધે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો ઊભો થયો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પેપર લીક માફિયા સાથેના સંબંધોની તપાસની માંગ કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આજે રાષ્ટ્રવ્યાપી “છાત્રો કી ગૂંજ” અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ ૪૦ દિવસનું અભિયાન દેશના ૨૮ મુખ્ય શહેરોમાં વિદ્યાર્થીઓ, ઉમેદવારો, કોચિંગ હબ, કોલેજ કેમ્પસ, પુસ્તકાલયો અને યુવા જૂથો વચ્ચે ચલાવવામાં આવશે.
• ૯ ઓગસ્ટ ૨૦૨૬: ‘દિલ્હી ચલો’ સાથે અભિયાનના પ્રથમ તબક્કાનું સમાપન, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ એકત્ર થઈને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે
• NEET નું પેપર લીક થયા બાદ ૧૨ કરતા વધુ વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાં હતાશા-નિરાશાના લીધે જીવન ટુંકાવ્યું હતું તે પૈકી ગુજરાતના પ્રતિભાશાળી વિદ્યાર્થી કહાન પ્રશાંતભાઈ પટેલે નિરાશ થઈને જીવન ટુંકાવ્યું હતું, આ વિદ્યાર્થીને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
• ૩૦ જૂનથી ૨૮ શહેરોમાં પત્રિકા વિતરણ, નુક્કડ સભાઓ અને વિદ્યાર્થી સંપર્ક અભિયાન.
જુલાઈ મહિનામાં સાપ્તાહિક કાર્યક્રમો, કેમ્પસ સંપર્ક અને આંબેડકર સંવાદ.
૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ તમામ ૨૮ શહેરોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ.
હાલની પરીક્ષા વ્યવસ્થા પર આકરા પ્રહાર કરતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ અભિયાન એવા વિદ્યાર્થીઓ અને નોકરીના ઉમેદવારોનો અવાજ છે જેમની મહેનત વારંવાર પેપર લીક, પરીક્ષા રદ થવી, પરિણામમાં વિલંબ, ભરતી અટકી જવી અને એનટીએ (NTA) ની નિષ્ફળતાને કારણે બરબાદ થઈ રહી છે. વિદ્યાર્થીઓ કોઈ ઉપકાર નથી માંગી રહ્યા. તેઓ માત્ર નિષ્પક્ષ પરીક્ષા અને નિર્ધારિત સમયે ભરતીની માંગ કરી રહ્યા છે.
વિશ્વાસનું સંકટ વધુ ઘેરું બન્યું
નીટ યુજી ૨૦૨૬ એ પરીક્ષા વ્યવસ્થા પર વિશ્વાસનું સંકટ વધુ ઘેરું બન્યું છે. ભાજપ સરકારે પારદર્શિતા અને સુધારાના નામે એનટીએ (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) ને ભારતના વિદ્યાર્થીઓ પર થોપી હતી, પરંતુ આજે આ સંસ્થા કરોડો વિદ્યાર્થીઓ માટે ‘નેશનલ ટ્રોમા એજન્સી’ બની ગઈ છે. છેલ્લાં વર્ષોમાં દેશભરમાં ૮૯ થી વધુ પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે આવ્યા છે, પરંતુ આજ સુધી કોઈ મોટા સરગના, રાજકીય રક્ષણ આપનાર વ્યક્તિ કે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો નથી. માત્ર નાના દલાલો અને પ્યાદાઓ જ પકડાયા છે, જ્યારે અસલી કિંગપિન અને ભાજપી સંરક્ષકો હંમેશા બચી નીકળ્યા છે.
NEET UG ૨૦૨૬ નું પેપર લીક આ સડી ગયેલી વ્યવસ્થાનું સૌથી મોટું ઉદાહરણ છે. લાખો વિદ્યાર્થીઓએ વર્ષોની મહેનત કરી, કરોડો પરિવારોએ તેમની જીવનભરની કમાણી દાવ પર લગાવી, પરંતુ પરીક્ષા ફરી ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગઈ. આ કૌભાંડ બાદ દેશભરમાં ૨૦ થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી. ઘણા વિદ્યાર્થીઓએ તેમની સુસાઈડ નોટમાં વ્યવસ્થાથી તૂટી જવા અને ભવિષ્યના અંધકારનો ઉલ્લેખ કર્યો છે. આમ છતાં, દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ન તો નૈતિક જવાબદારી લીધી કે ન તો રાજીનામું આપ્યું.
તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે સ્વીકાર્યું કે “વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે હું જવાબદાર છું, આ વ્યવસ્થા અમે જ વિદ્યાર્થીઓને આપી છે.” જ્યારે જવાબદારી સ્વીકારી લેવામાં આવી છે, તો પછી રાજીનામું કેમ નહીં? જો ૨૦ થી વધુ વિદ્યાર્થીઓના મોત, લાખો યુવાનોનું ભવિષ્ય અને સમગ્ર દેશનો તૂટી ગયેલો વિશ્વાસ પણ કોઈ મંત્રીને પદ છોડવા માટે મજબૂર ન કરી શકે, તો જવાબદારીનો અર્થ શું રહે છે?
સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સમગ્ર મુદ્દા પર એક શબ્દ બોલવાનું જરૂરી સમજ્યું નથી. જ્યારે વિદ્યાર્થીઓ રસ્તા પર છે, પરિવારો બરબાદ થઈ રહ્યા છે, આત્મહત્યાઓ થઈ રહી છે અને પરીક્ષાઓ મજાક બની ચૂકી છે, ત્યારે સત્તાની મૌન આ વાતનો પુરાવો છે કે યુવાનોની પીડા તેમની પ્રાથમિકતા નથી. આ લડાઈ માત્ર નીટ (NEET) ની નથી. આ લડાઈ તે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને બચાવવાની છે જે આજે આઈસીયુ (ICU) માં પહોંચી ગઈ છે. પેપર લીક, ભરતી કૌભાંડો, ખાલી જગ્યાઓ, મોંઘી કોચિંગ વ્યવસ્થા, સતત સ્થગિત થતી પરીક્ષાઓ અને બેરોજગારીએ યુવાનોનો વિશ્વાસ તોડી નાખ્યો છે. દેશનો યુવાન આજે સૌથી વધુ અસુરક્ષિત ભવિષ્યનો સામનો કરી રહ્યો છે. શિક્ષણ મંત્રી અને એનટીએ આ સંકટની જવાબદારીમાંથી બચી શકતા નથી. જ્યારે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં વિદ્યાર્થીઓનો વિશ્વાસ તૂટે છે, ત્યારે જવાબદારી પણ રાષ્ટ્રીય સ્તરે નક્કી થવી જોઈએ.
૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક
પેપર લીક હવે અલગ ઘટના નથી, રાષ્ટ્રીય પેટર્ન છે તે અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી શેષ નારાયણ ઓઝા એ જણાવ્યું હતું કે, દેશમાં ૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક કેસ સામે આવ્યા છે અને ઓછામાં ઓછા ૬.૫ કરોડ ઉમેદવારો પ્રભાવિત થયા છે. જેમાં લગભગ ૪૮ પરીક્ષાઓમાં રીટેસ્ટ થયો અને ૨૨ પરીક્ષાઓ આયોજિત થયા પહેલા જ રદ થઈ ગઈ. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ૨૦૧૯ પછી નીટ ૨૦૨૪ ને બાદ કરતાં ઓછામાં ઓછી ૬૪ મોટી પરીક્ષાઓ પેપર લીકના આરોપોથી પ્રભાવિત થઈ હતી અને આ કેસ ૧૯ રાજ્યોમાં ફેલાયેલા છે. તેમાં ૪૫ સરકારી ભરતી પરીક્ષાઓ હતી અને ઓછામાં ઓછી ૨૭ પરીક્ષાઓ રદ અથવા સ્થગિત કરવામાં આવી હતી. પેપર લીક એક સંગઠિત નેટવર્ક છે, જેમાં વેન્ડર એજન્સીઓ, પ્રિન્ટિંગ પ્રેસ, ટ્રાન્સપોર્ટ ચેન, પરીક્ષા કેન્દ્ર, આંતરિક લોકો, વચેટિયાઓ અને સોલ્વર ગેંગ સુધીની ભૂમિકા વારંવાર સામે આવતી રહી છે. ત્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. પેપર લીક માફિયા, વેન્ડર એજન્સીઓ, અધિકારીઓ અને રાજકીય સંરક્ષણ સાથેના તેમના સંભવિત સંબંધોની નિષ્પક્ષ તપાસ થાય. સમગ્ર પરીક્ષા વ્યવસ્થાનું ઓવરહોલ (સંપૂર્ણ સુધારણા) કરવામાં આવે. એનટીએ, પેપર સેટિંગ, પ્રિન્ટિંગ, ટ્રાન્સપોર્ટ, પરીક્ષા કેન્દ્ર, ડિજિટલ સિસ્ટમ અને વેન્ડર કોન્ટ્રાક્ટની તપાસ થાય અને દરેક તબક્કાને સુરક્ષિત કરવામાં આવે. નિર્ધારિત વાર્ષિક પરીક્ષા અને ભરતી કેલેન્ડર લાગુ કરવામાં આવે. પરીક્ષાની તારીખ, પરિણામની તારીખ અને નિમણૂકની સમયસીમા અગાઉથી જાહેર થાય અને તેનું સખ્તીથી પાલન થાય તેવી માંગ સાથે “છાત્રો કી ગૂંજ” અભિયાન ૩૦ જૂનથી ૨૮ શહેરોમાં પત્રિકા વિતરણ, નુક્કડ સભાઓ અને વિદ્યાર્થી સંપર્ક અભિયાન કરવામાં આવશે. જુલાઈ મહિનામાં સાપ્તાહિક કાર્યક્રમો, કેમ્પસ સંપર્ક અને આંબેડકર સંવાદ અને ૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ તમામ ૨૮ શહેરોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.
૯ ઓગસ્ટ ૨૦૨૬: ‘દિલ્હી ચલો’ સાથે અભિયાનના પ્રથમ તબક્કાનું સમાપન, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ એકત્ર થઈને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે. કોંગ્રેસ પાર્ટીએ ‘છાત્રો કી ગૂંજ’ આંદોલન હેઠળ વિદ્યાર્થીઓને જોડાવાની અપીલ કરી છે, જેના માટે એક મિસ્ડ કોલ નંબર – ૯૮૭૩૦૩૬૧૬૧ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વિદ્યાર્થીઓને www.chhatronkigoonj.in પર જઈને રજીસ્ટર કરવા અપીલ કરવામાં આવી છે. દેશના ૨૮ શહેરોમાં ચાલી રહેલા આ જન આંદોલન સાથે જોડાઈને તમે તમારા શહેરમાં “છાત્રો કી ગૂંજ” ચેપ્ટરનો હિસ્સો બની શકો છો. કારણ કે આ લડાઈ હવે રાજકીય નથી, પરંતુ યુવા ભારતના સપનાઓને બચાવવાનું વિદ્યાર્થી આંદોલન છે.
ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાને ભાજપ સરકાર ભારોભાર નુકસાન કરી રહી છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાને ભાજપ સરકાર ભારોભાર નુકસાન કરી રહી છે. ગુજરાતમાં ૪૦ હજાર કરતા વધુ શિક્ષકોની ઘટ છે, ૩ હજાર જેટલી શાળાઓમાં એક શિક્ષકથી ચાલી રહી છે. ડૉ. મનમોહનસીંઘની સરકારે દેશના બાળકોને મફત શિક્ષણ અને મૂળભૂત અધિકાર આપ્યો છે જ્યારે કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપની સરકાર શિક્ષકોના અધિકાર છીનવી રહી છે. શિક્ષણ એ સેવાનું કાર્ય છે, કમનશીબે ભાજપ સરકારે મોટા પાયે લૂંટ અને વસુલાતનું તંત્ર બની ગયું છે. જે દેશ માટે ચિંતાનો વિષય છે.


