કોરોના સંકટઃ દેશમાં અત્યાર સુધીમાં 49.84 કરોડ કોવિડ-19ના ટેસ્ટ કરાયાં
દિલ્હીઃ દેશમાં કોરોનાને નાથવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. 24 કલાકમાં 18 લાખ પરિક્ષણ કરવામાં આવ્યાં હતા. જ્યારે અત્યાર સુધીમાં 49.84 કરોડ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત દેશમાં અત્યાર સુધીમાં 56 કરોડ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે.
દેશમાં 21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો હતો. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા પ્રયાસો કરી રહી છે. બીજી તરફ રિકવરી રેટમાં પણ વધારો થયો છે. રિકવરી રેટ 97.52 ટકા ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 3.14 કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા પોઝિટિવ કેસનું ભારણ ઘટ્યું છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે 24 કલાકમાં દેશમાં 17,97,559 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 49.84 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બાળકોની કોવિડની રસીને લઈને પરિક્ષણની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. આગામી દિવસોમાં 12 વર્ષથી વધુની ઉંમરના બાળકોની કોવિડ-19 વિરોધી રસી ઉપલબ્ધ થવાની શકયતા છે.