કોરોના: ચીનમાં 5 સપ્તાહમાં 9 લાખ વ્યક્તિઓના મોતની આશંકા, સરકારના આંકડા છુપાવવાના પ્રયાસો
નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના કેસ હજુ સામે આવી રહ્યાં છે. ચીનમાંથી કોરોના સમગ્ર દુનિયામાં ફેલાયો હતો. હાલ ફરીથી કોરોનાએ ચીનમાં માથુ ઉચક્યું છે. અત્યાર સુધી ચીનમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. જો કે, કોરોના મહામારીમાં 60 હજાર લોકોના મોત થયાનું ચીને સ્વિકાર્યું હતું. જોકે વિશ્વના નિષ્ણાતોનો દાવો છે કે, ચીન હજુ પણ સાચો આંકડો છુપાવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, ચીનમાં મૃત્યુઆંક સત્તાવાર આંકડા કરતા 10 ગણો વધારે છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, 12 જાન્યુઆરી સુધી કોરોના મહામારીને કારણે દેશભરની હોસ્પિટલમાં લગભગ 59,938 લોકોએ જીવ ગુમાવ્યા છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટી, લોસ એન્જલસ, યુએસએમાં ફિલ્ડિંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રોગશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ઝુ ફેંગ ઝાંગે દાવો કર્યો છે કે, ચીનમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સાચી સંખ્યા સત્તાવાર આંકડા કરતા ઘણી વધારે છે. ઝેંગનો દાવો છે કે ચીનમાં કોરોના મહામારીની શરૂઆતમાં પહેલા 5 અઠવાડિયામાં લગભગ 9 લાખ લોકોના મોત થયા છે. ઝેંગએ આ દાવો ચીનની પેકિંગ યુનિવર્સિટીના નેશનલ સ્કૂલ ઓફ ડેવલેપમેન્ટના રિપોર્ટના આધારે કર્યો છે.
પેકિંગ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર જાન્યુઆરીના મધ્ય સુધીમાં દેશની 64 ટકા વસ્તી કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. ઝેંગનું કહેવું છે કે જો ચીનમાં કોરોનાનો પ્રજનન દર 0.1 ટકા પણ હોય તો ચીનમાં કોરોના મહામારીના પાંચ અઠવાડિયામાં લગભગ નવ લાખ લોકોના મોત થયા હોત. નિષ્ણાતો કહે છે કે ચીનમાં ઘણા મૃત્યુ નર્સિંગ હોમમાં અથવા ઘરે થયા હશે, જેને ચીનની સરકારે ગણ્યા ન હોય. સરકારના સત્તાવાર આંકડાઓમાં માત્ર હોસ્પિટલોમાં થયેલા મૃત્યુનો સમાવેશ થઈ શકે છે.
ચીનમાં 21 જાન્યુઆરીથી લૂનાર ન્યૂ ઈયર રજાઓની શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, આ સમયગાળા દરમિયાન ચીનમાં કરોડો લોકો પોતપોતાના ઘર અથવા વતન જશે. આવી સ્થિતિમાં ચીનમાં કોરોના મહામારી કાબૂ બહાર જવાનો ખતરો છે. નિષ્ણાતોનું માનવું છે કે 2023ના અંત સુધીમાં ચીનમાં કોરોનાથી 1.2 થી 1.6 મિલિયન લોકોના મોત થઈ શકે છે. જો ચીની સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સફળ રહે છે તો આ આંકડો ઓછો રહી શકે છે.