કોરોના સંક્રમિતઃ સુરતમાં બે દિવસ ટેક્સ્ટાઈલ માર્કેટો બંધ રહેશે
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વઘતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ રાજ્યની સરહદ ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને બહારથી આવતા લોકોનું સ્ક્રિનીંગ અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાના કેસ વધતા સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવામાં આવી છે. હવે બે દિવસ માટે શહેરની તમામ ટેક્સ્ટાઈલ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેથી સુરતના તમામ ટેક્સ્ટાઈલ માર્કેટો શનિવાર અને રવિવાર બંધ રહેશે.
રાજ્યમાં સૌથી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીએ સ્ફોટક સ્થિતિનું નિર્માણ કર્યું છે. શહેરના ટેક્સ્ટાઇલ માર્કેટોમાં સંક્રમણ વધી રહ્યું છે. દરમિયાન ફોસ્ટા દ્વારા હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલે શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુરતના તમામ ટેક્સ્ટાઈલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બે રજા બાદ તંત્ર સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યાર બાદ આગામી દિવસોમાં ટેક્સ્ટાઇલ માર્કેટોના સંદર્ભમાં નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌથી મોટુ કાપડ માર્કેટ સુરતમાં છે. જેથી અન્ય રાજ્યોમાંથી વેપારીઓ ખરીદી માટે અહીં આવે છે. જેના પરિણામે કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શકયતાને પગલે મનપા તંત્ર દ્વારા ટેક્સ્ટાઈલ માર્કેટમાં કોરોના ટેસ્ટીંગ શરૂ કર્યું છે. આ ઉપરાંત ધનવંતરી આરોગ્ય રથ પણ દોડતા કરવામાં આવ્યાં છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોવિડ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે.