ગુજરાતમાં કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ હવે રૂ.700માં નહીં પણ રૂ.400માં કરી અપાશે
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે આગોતરૂ આયોજન કર્યું છે. સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 700 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી હતી.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દિનદયાળ કલીનીક સહિત અનેક મોટી જાહેરાતો કરી હતી. ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો હોય એના દર ઘટાડવામાં આવ્યાં છે. કીટ ની કિંમતોમાં ધટાડો થયો છે. હવે ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટનો ચાર્જ રૂ.700 માંથી ઘટાડો કરી રૂ.400 કરવામાં આવ્યો છે. દર્દીઓના ઘરેથી ટેસ્ટ સેમ્પલ લઈને ટેસ્ટ કરવાનો ચાર્જ રૂ.900 હતો હવે ઘટાડીને રૂ.550 કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર જો ટેસ્ટ કરાવવાની જરૂર હોય તેનો હાલનો ચાર્જ રૂ.4000 હતો, જેમાંથી ઘટાડીને રૂ.2700 કરવામાં આવ્યો છે. બીજી લહેર વખતે HRCT ટેસ્ટનો ચાર્જ રૂ.3000 હતો જેમાં ઘટાડો કરી રૂ.2500 કરવામાં આવ્યો છે. જ્યાં સરકારી મશીનરી છે ત્યાં અને સરકારી હોસ્પિટલોમાં બધી જ જગ્યાએ આ ટેસ્ટ વિનામૂલ્યે થાય છે
કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા જ સરકારે આગોતરૂ આયોજન કર્યું છે. જિલ્લા કક્ષાની હોસ્પિટલ માટે નવા 17 સીટી સ્કેન મશીન ખરીદાશે, જેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.રાજ્યની મેડિકલ કોલેજ, જિલ્લા કક્ષા હોસ્પિટલને 82.50 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગર, સોલા, વડોદરા ગોત્રી કોલેજમાં નવા મશીનો ખરીદાશે, જેના કારણે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા નહિ જવું પડે. માં અને માં વાત્સલ્ય યોજના હેઠળ વિના મૂલ્યે ટેસ્ટ કરી આપવામાં આવશે. રાજ્યમાં તમામ વિસ્તારને આવરી લઈ જિલ્લા કક્ષાએ સીટી સ્કેન MRI ની સુવિદ્યા મળે એ માટે 112 કરોડના મશીન ખરીદવામાં આવશે.


