અમદાવાદ ડિવિઝનને આવક થતી ન હોવાથી 23 હોલ્ટ સ્ટેશન કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય
અમદાવાદઃ રેલવે દ્વારા ઘણીબઘી ટ્રેનોમાં જે તે સ્ટેશનો પર સ્ટોપેજ અપાયું હોવા છતા તે સ્ટેશનો પર રેલવેને આવક થતી નથી. આથી અમદાવાદ ડિવિઝનમાં આવેલા 23 જેટલા હોલ્ટ સ્ટેશનો રેલવે દ્વારા કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બ્રાન્ચ લાઈનો પર આવેલા આ હોલ્ટ સ્ટેશનોથી રેલવેને વર્ષોથી એક પણ રૂપિયાની આવક થતી ન હતી. આ તમામ સ્ટેશનો લાંબા સમયથી બંધ હતા જેના પગલે ડિવિઝનના ઉચ્ચ રેલવે અધિકારીઓની ભલામણના આધારે રેલવે બોર્ડે આ નિર્ણય કર્યો છે.
પશ્ચિમ રેલવેના 6 ડિવિઝનમાંથી એક અમદાવાદ ડિવિઝનની સ્થાપના 1 એપ્રિલ 2003ના રોજ થઈ હતી. અમદાવાદ ડિવિઝન ઉત્તરમાં પાલનપુર સુધી, દક્ષિણમાં ગેરતપુર સુધી, પૂર્વમાં ખેડબ્રહ્મા સુધી તેમજ દક્ષિણમાં નલિયા સુધી વિસ્તરેલો છે. અમદાવાદ ડિવિઝનમાં બ્રોડગેજ તેમજ મીટર ગેજ રેલવે લાઈનો હતી. જેમાં બ્રોડગેજ પર 117 તેમજ મીટર ગેજ પર 78 જેટલા નાના મોટા સ્ટેશનો આવેલા છે. જો કે રેલવે બોર્ડના નિર્ણય મુજબ અમદાવાદ ડિવિઝનમાંથી હવે તમામ મીટર ગેજ લાઈનો બંધ કરી દેવામાં આવી છે. જેમાં મુખ્ય લાઈનો પર ગેજ કન્વર્ઝન કરી બ્રોડગેજ લાઈન નાખવામાં આવી રહી છે. જ્યારે કેટલીક બ્રાન્ચ લાઈનો પણ બ્રોડગેજ કરવાની સાથે કેટલીક લાઈનો બંધ કરી દેવામાં આવી છે. જેમાં દેશલપર, ધનવાલા વાળા, કોઠારા, મોઠાલા, મોઠોલા હોલ્ટ, નાલિયા, સનોસરા, સુખપર, સુખપર રોહા, લિમ્બોદ્રા, લોદરા, મકાખાડ, પિલવઈ રોડ, રાંધેજા, સોનીપુર રૂપલ, ઉનાવા વાસન, ચરાળૂ, ગવડા માલોસણ, ગેરિતા કોલવાડા, ગોઝારિયા, કુકરવાડા, લાંઘણજ, વસઈ ડાભલાનો સમાવેશ થાય છે, હવે આ સ્ટેશનો પર ટ્રેનો ઊભી નહીં રહે.