1. Home
  2. ગુજરાતી
  3. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદની મુશ્કેલીમાં વધારોઃ વધુ એક કેસમાં દોષિત
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદની મુશ્કેલીમાં વધારોઃ વધુ એક કેસમાં દોષિત

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદની મુશ્કેલીમાં વધારોઃ વધુ એક કેસમાં દોષિત

0
Social Share

નવી દિલ્હીઃ અવિભાજિત બિહારના રૂ. 950 કરોડના ચારા કૌભાંડ સંબંધિત પાંચમા કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ યાદવને દોષિત ઠેરવવામાં આવ્યા છે. રાંચીની સીબીઆઈ કોર્ટે ડોરંડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડની ઉચાપતના કેસમાં તેમને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આ કેસમાં 24 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે લાલુના નજીકના નેતા જગદીશ શર્મા અને ધ્રુવ ભગત સહિત 35 લોકોને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે લાલુ યાદવને સજાની જાહેરાત કરી નથી. તેમને અને બાકીના અન્ય દોષિતોને 21 ફેબ્રુઆરીએ સજા સંભળાવવામાં આવશે. હાલ લાલુ યાદવ જામીન પર જેલની બહાર છે. જો લાલુ યાદવને પણ ત્રણ વર્ષ કે તેથી ઓછી સજા થશે તો તેમને કોર્ટમાંથી જ જામીન મળી જશે, અન્યથા તેમને કસ્ટડીમાં લેવામાં આવશે.

આ કેસના મૂળ 170 આરોપીઓમાંથી 55 મૃત્યુ પામ્યા છે, સાત સરકારી સાક્ષી બન્યા છે, બેએ તેમની સામેના આરોપો સ્વીકાર્યા છે અને છ ફરાર છે. લાલુ પ્રસાદ ઉપરાંત પૂર્વ સાંસદ જગદીશ શર્મા, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (પીએસી)ના તત્કાલિન અધ્યક્ષ ધ્રુવ ભગત, પશુપાલન સચિવ બેક જુલિયસ અને પશુપાલન સહાયક નિયામક ડૉ. કેએમ પ્રસાદ મુખ્ય આરોપી છે. તપાસ એજન્સી દ્વારા 2001માં લાલુ યાદવ સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને 2005માં આરોપ ઘડવામાં આવ્યો હતો. જે પાંચ કેસમાં લાલુ યાદવને આરોપી બનાવવામાં આવ્યા છે તેમાંથી આ એકમાત્ર એવો કેસ છે જેમાં નિર્ણય આવવાનો બાકી છે. બાકીના ચાર કેસમાં કોર્ટે લાલુ યાદવને દોષિત ઠેરવીને સજા જાહેર કરી દીધી છે. રૂ. 950 કરોડનું આ કૌભાંડ અવિભાજિત બિહારના વિવિધ જિલ્લાઓમાં સરકારી તિજોરીમાંથી જનતાના નાણાંની છેતરપિંડીથી સંબંધિત છે. ચારા કૌભાંડ કેસમાં આરજેડી સુપ્રીમોને 14 વર્ષની જેલ અને કુલ 60 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેને દુમકા, દેવઘર અને ચાઈબાસા ટ્રેઝરી સંબંધિત ચાર કેસમાં જામીન મળ્યા છે.

જાન્યુઆરી 1996માં પશુપાલન વિભાગના દરોડા બાદ ઘાસચારા કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. સીબીઆઈએ જૂન 1997માં પ્રસાદનું નામ આરોપી તરીકે જાહેર કર્યું હતું. એજન્સીએ પ્રસાદ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સામે પણ આરોપો ઘડ્યા હતા. સપ્ટેમ્બર 2013માં, એક ટ્રાયલ કોર્ટે પ્રસાદ, મિશ્રા અને અન્ય 45 લોકોને ચારા કૌભાંડ સંબંધિત કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને પ્રસાદને રાંચી જેલમાં મોકલવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2013 માં, સુપ્રીમ કોર્ટે આ કેસમાં પ્રસાદને જામીન આપ્યા હતા, જ્યારે ડિસેમ્બર 2017 માં, સીબીઆઈ કોર્ટે તેને અને અન્ય 15 લોકોને દોષી ઠેરવ્યા હતા અને તેમને બિરસા મુંડા જેલમાં મોકલી દીધા હતા. બાદમાં, ઝારખંડ હાઈકોર્ટે એપ્રિલ 2021માં પ્રસાદને જામીન આપ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code