- સીએમ રૂપાણીએ જૂનાગઢમાં ધ્વજ ફરકાવ્યો
- વાયુદળના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી
- સંબોધનમાં લોકોને ગુજરાત રાજ્યની તાકાત વિશે વાત કરી
- ગુજરાતની હરીફાઈ અન્ય દેશ સાથે, દેશના રાજ્યો સાથે નહી – સીએમ રૂપાણી
અમદાવાદ : 15મી ઓગસ્ટ 2021ના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢમાં ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચીવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યું હતું. ધ્વજવંદન વખતે વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
સીએમ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતની હરીફાઈ અન્ય રાજ્યો સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે. વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આપણે ગુજરાતમાં બનાવ્યું છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં બનાવ્યું છે. વિશ્વનો સૌથી મોટો રિન્યુબલ પાર્ક ગુજરાતમાં છે. વિશ્વની સૌથી મોટી 12 હજાર બેડની મેડીસિટી ગુજરાતમાં બનાવ્યું છે. દેશનું સૌથી મોટુ સીએનજી પોર્ટ ભાવનગરમાં બનાવ્યું છે. દેશની સૌથી મોટી બુલેટ ટ્રેન ગુજરાતમાંથી ચાલુ થશે. એફડીઆઇમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. વિશ્વનું સૌથી મોટો કોમર્શિયલ કોમ્પલેક્ષ સુરતમાં, ગુજરાતમાં છે. દરિયા પર સ્માર્ટ સિટી પણ ગુજરાતમાં છે. ખારા પાણીને મીઢું બનાવવાનાં પ્રયત્નો ગુજરાતે હાથ ધર્યા છે.
આ ઉપરાંત સીએમ રૂપાણીએ જણાવ્યું કે દેશ માટે અવિરત સંઘર્ષ કરીને આપણને મહામૂલી આઝાદી આપનાર સૌ વીરોને નમન કરવાની અને પુણ્ય સ્મરણ કરવાની આ તક છે. આપણે જ્યારે જુનાગઢની ધરતી પર સ્વાતંત્રય દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે જુનાગઢનો વિશેષ ઇતિહાસ અવશ્ય યાદ આવે.
કોરોનાકાળમાં ગુજરાતમાં થયેલી કામગીરીને યાદ કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતનું મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ જેટલા ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું.