અમારો સામનો કરવો હોય તો મુંબઈ આવે, રસ્તામાં લડાઈ થશે તો અમે જ જીતીશું : સંજય રાઉતની નારાજ ધારાસભ્યોની ગર્ભીત ધમકી
મુંબઈઃ એકનાથ શિંદે સહિતના ધારાસભ્યો પાસે સંખ્યા બળ માત્ર કાગળ ઉપર હોવાનું જણાવીને શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે હાર માનવાના નથી અને અમેજ જીતીશું, રસ્તામાં પણ લડાઈ થશે તો પણ અમેજ જીતીશું, એટલું જ નહીં ફ્લોર હાઉસમાં પણ અમારો વિજય થશે. અમારો સામનો કરવો હોય તો મુંબઈ આવી શકે છે. આમ સંજય રાઉતના આ નિવેદનને પગલે વિવિધ અટકળો વહેતી થઈ છે. આદિત્ય ઠાકરેનું ભાવનાત્મક નિવેદન અને ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો છતા કોઈ સફળતા નહીં મળતા હવે સંજય રાઉતે એકનાશ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોને ગર્ભીત ધમકી આપી હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે.
શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે આજે એનસીપીના નેતા શરદ પવાર સાથે મીટીંગ કરી હતી. શિવસેનાના નારાજ ધારાસભ્યો મુદ્દે સંજય રાઉતે કહ્યું કે, તેમની પાસે કાગળ પર સંખ્યાબળ હોઈ શકે છે. આ કાનૂની લડાઈ છે, હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમનું ધારાસભ્ય પદ રદ કરવા માટે પીટીશન પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં શરદ પવારને એક કેન્દ્રીય મંત્રીએ ધમકી આપી હોવાનો રાઉતે આક્ષેપ કર્યો હતો.
તેમણે કહ્યું કે, નારાજ ધારાસભ્યોએ જે કર્યું તે યોગ્ય નથી, હવે વાતચીતનો સમય નીકળી ગયો છે. અમે હાર માનવાની નથી અને અમેજ જીતીશું, ફ્લોર હાઉસમાં પણ અમે જીતીશું, એટલું જ નહીં રસ્તામાં લડાઈ થશે તો અમારી જ જીત થશે. જેમને અમારો સામનો કરવો હોય તે મુંબઈ આવી શકે છે. તેમણે પરત આપવાનો સમય આપવામાં આવ્યો હતો જે નીકળી ગયો છે. તમે આવો અમારી ચેલેન્જ છે. આમ સંજય રાઉતના આ નિવેદનના પગલે તરેહત-તરેહની અટકળો વહેતી થઈ છે.