અમરેલીઃ જિલ્લાના ખાંભા રેવન્યુ અને મીતિયાળા અભ્યારણ્ય રેન્જમાં ગેરકાયદે લાયન શો યોજાતા હોય છે. હાલ ચોમાસાની સીઝનનો પ્રારંભ થતા સિંહનો મેટિગ પીરિયડ ચાલતો હોય છે, આ સમયે સિંહ કોઈ પણ ખલેલને સહન કરતો નથી. અને તેથી જ ગીર અભ્યારણ્યમાં પણ ચોમાસા દરમિયાન સિંહ દર્શન બંધ કરવામાં આવે છે. ત્યારે ખાંભા અને મીતિયાળા અભ્યારણ્યમાં ગેરકાયદે લાયન શો યોજાઈ રહ્યા છે. વન વિભાગને ગેરકાયદે લાયન શો અંગેની જાણકારી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાની ફરિયાદો ઊઠી છે.
ખાંભા રેવન્યુ અને મીતિયાળા અભયારણ્યની બોર્ડર પર ગેરકાયદે લાયન શો યોજાયાનું અને કેમ્પ સાઇટ પર મોટી સંખ્યામાં લોકોએ લાઇટો કરીને સિંહોને પરેશાન કર્યાની ફરિયાદો ઊઠી છે. વનવિભાગની નજર તળે આ કૃત્ય થઇ રહ્યાનો પણ આક્ષેપ થયા છે. મતિયાળા અભયારણ્યની બોર્ડર પર વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના નામે અમુક લોકો દ્વારા ગેરકાયદે લાયન શો સહિતની પ્રવૃતિ થતી રહ્યાની ચર્ચા છે. મીતિયાળા અભયારણ્યમાં સિંહો બોર્ડર પર રહેતા હોય છે. ત્યારે અવારનવાર આ કેમ્પ સાઇટ નજીક લોકો દ્વારા જંગલમાં પ્રવેશ કરીને ગેરકાયદે લાયન શો કરવામાં આવતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તાજેતરમાં ચાર જેટલા સિંહે મીતિયાળા બોર્ડર અને ખાંભા રેવન્યુના લાખા ગાળાના કુટિયા વિસ્તારમાં ત્રણ પશુના મારણ કરવામાં આવ્યા હતાં. આ સમયે મીતિયાળા બોર્ડર પર કેમ્પ સાઇટ પર બહોળી સંખ્યામાં લોકો સિંહ જોવા માટે ફોર વ્હીલ ગાડી લઇને પહોંચ્યા હતાં અને રાત્રિ રોકાણ કર્યુ હતું. ફોરવ્હીલની લાઇટો અને બતીઓ કરીને સિંહોને પરેશાન કર્યા હતાં. આ લોકોએ લાયન શો કર્યો હતો. મીતિયાળા બોર્ડર પર વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ કરી ગેરકાયદે લાયન શો કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સિંહ પ્રેમીઓ દ્વારા માગણી કરવામાં આવી છે.