અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વધુને વધુ લોકો કોરોનાની વેક્સિન લે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગે હવે ઘરેઘરે જઈ સર્વે શરૂ કર્યો છે. હેલ્થ વર્કર્સની ટીમ દ્વારા જેમણે મુદત પૂરી થવા છતાં હજુ રસી લીધી નથી તેમને ટ્રેસ કરી નજીકના રસી કેન્દ્ર પર મોકલી રસી અપાવી રહ્યાં છે. જે લોકોએ હજુ સુધી રસી નથી લીધી તેમના ઘર બહાર ‘ચોકડી’ અને જેમણે રસી લીધી છે તેમના ઘરે ‘પી’ની નિશાની કરી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા 10 દિવસમાં 30 હજાર ઘરોનો સર્વે થઈ ચૂક્યો છે, જેમાં 300થી વધુ લોકોએ બીજી રસી લેવા માટેની મુદત પુરી થઈ હોવા છતા રસી લીધી નહોતી. આરોગ્ય અધિકારી ડૉ. ભાવીન સોલંકીએ જણાવ્યું હતું કે, 100 ટકા રસીકરણ માટે આશા વર્કર્સ અને પેરામેડિકલ સ્ટાફની 150 જેટલી ટીમ દરરોજ શહેરના જુદાજુદા વિસ્તારોમાં વિઝિટ કરી રહી છે. સ્લમ વિસ્તારોમાં તો કોરોનાની વેક્સિન લે તેને ખાદ્યતેલનું 500 ગ્રામનું પાઉચ પણ આપવામાં આવે છે. મફતમાં તેલ લેવાની લાલચમાં લોકો વેક્સિન પણ લઈ રહ્યા છે. શહેરમાં સોમવારે કોરોનાના નવા 9 કેસ નોંધાયા હતા.. જ્યારે 23 હજારથી વધુને રસી આપવામાં આવી હતી. સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાના 7 દર્દી સારવાર હેઠળ છે.
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાલ ઘેર-ઘેર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે. જે લોકોએ વેક્સિનનો પ્રથમ કે બીજો ડોઝ નથી લીધો તેવા લોકોના ઘર પર ચોકડી મારવામાં આવે છે. જેથી આજુબાજુના રહિશોને ખબર પડે તે આ ઘરમાં કોરોનાની રસી લેવામાં નથી આવી. તેથી સામાજિક ભયથી પણ લોકો વેક્સિન લેવા આવી રહ્યા છે. મ્યુનિ.ના આ પ્રયોગને સારી સફળતા મળે તેવી શક્યતા છે.