1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 2023ના વર્ષથી 6 વર્ષ પૂર્ણ થયા હશે તેવા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ મળશે
ગુજરાતમાં 2023ના વર્ષથી 6 વર્ષ પૂર્ણ થયા હશે તેવા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ મળશે

ગુજરાતમાં 2023ના વર્ષથી 6 વર્ષ પૂર્ણ થયા હશે તેવા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ મળશે

0
Social Share

અમદાવાદ : રાજ્યમાં 6 વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેવા બાળકોને ભણતરનો ભાર વેઠવો પડતો હતો. નાના ભૂલકાઓને રમવાની ઉંમરે શાળાઓમાં પ્રવેશ આપી દેવામાં આવતો હતો. હવે વર્ષ 2023ના વર્ષથી 6 વર્ષની ઉંમર પૂર્ણ કરી હશે તેવા બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. સરકારી અને ખાનગી શાળાઓને સરકારે પરિપત્ર કરીને જાણ કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં બાળકોના એડમિશનનો નિયમ બદલાયો છે. નવા વર્ષથી શરૂ થતા શૈક્ષણિક વર્ષથી જે બાળકો 6 વર્ષનાં ના થયાં હોય એવાં બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ નહિ મળે. રાજ્યના સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને તમામ પ્રાથમિક શાળાઓને આ નિયમની જાણકારી આપવાની સૂચના આપી છે. 1 જૂને જે બાળકને છઠ્ઠું વર્ષ પૂર્ણ ના થયું હોય તે બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ નહીં અપાય. સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1માં પ્રવેશની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24 માં પહેલી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી રહેશે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ કરતા ઓછી હશે તો પ્રવેશ આપી શકાશે નહિ.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ખાનગી શાળાઓમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. અનેક વિદ્યાર્થીઓ એવા છે જેઓ ધોરણ-1 માં પ્રવેશ કરે છે. ત્યારે ગુજરાતમાં ધોરણ 1 ના એડમિશન માટે નિયમ બદલાઈ ગયો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામા આવી છે કે, 2023 થી ધોરણ-1મા એડમિશનનો નિયમો બદલાયા છે. જે મુજબ 1 જૂને 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ-1માં પ્રવેશ મળશે. બાળકના પ્રવેશ મામલે અનેક કિસ્સાઓમાં વાલીઓ અને શાળાઓ વચ્ચે ઘર્ષણ થતું હોય છે, ઘર્ષણ ના થાય, કોઈ વાલીએ ફરી પોતાના બાળકને કોઈ એક જ વર્ગમાં અભ્યાસ ના કરાવવો પડે એ માટે શિક્ષણ વિભાગે ફરી એકવાર તમામ જિલ્લાશિક્ષણાધિકારીને નોટિફિકેશન અંગે તમામ શાળાઓને માહિતગાર કરવા જાણ કરી છે

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગત 31 જાન્યુઆરી 2020ના રોજ નોટિફિકેશન જાહેર કરી RTI રૂલ્સ અંતર્ગત નવા નિયમનો ખુલાસો કર્યો હતો. જેમાં જણાવાયુ હતુ કે, નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ-1મા બાળકને ત્યારે જ પ્રવેશ મળશે જ્યારે તેણે 6 વર્ષ પૂરા કર્યા હોય. નહિ તો બાળક પ્રવેશને પાત્ર ગણાશે નહિ.

ઉલ્લેખનીય છે કે, ખાનગી સ્કૂલ દ્વારા આડેધડ નિયમોનું ઉલ્લંઘન કરીને બાળકોન પ્રવેશ અપાતો હતો. જેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ગત ડિસેમ્બર મહિનામા જ શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી. એટલે કે ચાલુ વર્ષ 2023 માં ધોરણ-1મા એ જ બાળકને પ્રવેશ મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code