લો બોલો, થાણે કોર્પોરેશને જીવીત વ્યક્તિને મૃત જાહેર કરી પ્રમાણપત્ર લેવા પણ બોલાવ્યાં
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં એક અજીબોગબીર ઘટના સામે આવી છે. થામેમાં રહેતા 55 વર્ષિય શિક્ષકને તાજેતરમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક ફોન આવ્યો હતો. તેમજ ફોન કરનાર મહિલાએ આરોગ્ય વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપીને તેમને મૃત્યુનું પ્રમાણપત્ર લઈ જવાની સૂચના આપી હતી. મહિલાની વાત સાંભળીને શિક્ષકના પગનીચેથી જમીન સરકી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર થાણેના મનપાડા વિસ્તારમાં રહેતા શિક્ષક ચંદ્રશેખરને ઓગસ્ટ 2020માં કોવિડ-19નો ચેપ લાગ્યો હતો. જે બાદ તેમની ઘરમાં જ સારવાર કરવામાં આવી હતી. તેમજ ક્વોરન્ટીન વખતે ચંદ્રશેખરેને આરોગ્યને લઈને એકવાર કોર્પોરેશનમાંથી ફોન પણ આવ્યો હતો. શિક્ષકે જણાવ્યું હતું કે, મને મંગળવારે એક ફોન આવ્યો હતો. જેમાં મારા મૃત્યુની જાણકારી આપવામાં આવી હતી. જો કે, હું ચંદ્રશેખર છું અને જીવીતી હોવાનું પણ કહ્યું હતું.
કોર્પોરેશનની મહિલા કર્મચારીની વાત સાંભળીને ચંદ્રશેખર સ્તબ્ધ થઈ ગયા હતા. તેમજ સીધા જ કોર્પોરેશનની કચેરી દોડી ગયા હતા. જ્યાં એક અધિકારીએ તેમને કહ્યું હતું કે, ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) પાસેથી જે માહિતી મળી છે તે અનુસાર આપનું તા. 22મી એપ્રિલ 2021ના નિધન થયું છે. તેમજ મૃત્યુના પ્રમાણપત્રમાં તેઓ 10 મહિના પહેલા કોરોનાથી ચેપગ્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાને પગલે કોર્પોરેશનના અધિકારીઓ બચાવની સ્થિતિમાં આવી ગયા છે. તેમજ કહ્યું હતું કે, ટીએમસી આ ડેટા તૈયાર નથી કરતી પરંતુ પુણેથી બનીને આવે છે. કોર્પોરેશનના અધિકારીઓએ પોતાની ભૂલ સુધારવાનું આશ્વાસન શિક્ષકને આપ્યું છે. તેમજ કહ્યું હતું કે, આ સિસ્ટમને કારણે ભૂર થઈ છે. જેની તપાસ કરાશે.