1. Home
  2. ગુજરાતી
  3. UNSCની બેઠકમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું: જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે
UNSCની બેઠકમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું: જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે

UNSCની બેઠકમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું: જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે

0
Social Share

નવી દિલ્હી, 24 જૂન 2026: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિષ્ઠિત ‘એરિયા ફોર્મ્યુલા’ બેઠકમાં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ પર આકરા શબ્દોમાં સણસણતો જવાબ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી પાયાવિહોણી અને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓને ભારતે સદંતર ફગાવી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ સ્પષ્ટ શબ્દોમાં ગર્જના કરતા જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું જ અભિન્ન અંગ છે અને તે સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબત છે.

બેઠક દરમિયાન ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ પાકિસ્તાનની મેલી મુરાદને ખુલ્લી પાડતા જણાવ્યું હતું કે, આ અત્યંત આશ્ચર્યજનક અને ખેદજનક છે કે આ બેઠકનું સહ-અધ્યક્ષ હોવા છતાં પાકિસ્તાને ‘એરિયા ફોર્મ્યુલા’ બેઠકનો દુરુપયોગ કર્યો છે. પાકિસ્તાને પોતાના સંકુચિત અને નકારાત્મક એજન્ડાને આગળ વધારવા માટે ભારતની સાર્વભૌમત્વતા પર બિનજરૂરી ટિપ્પણીઓ કરીને સંયુક્ત રાષ્ટ્રના આ પવિત્ર મંચનું રાજકીયકરણ કરવાનો હીન પ્રયાસ કર્યો છે.

  • ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ભારતનું જ

પાકિસ્તાનને અરીસો બતાવતા ભારતીય રાજદ્વારીએ ભારપૂર્વક કહ્યું કે, “કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબતો છે. જમ્મુ-કાશ્મીર ભૂતકાળમાં પણ ભારતનો એક હિસ્સો હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ હંમેશા ભારતનું જ અભિન્ન અંગ રહેશે. આ સત્યને કોઈ બદલી શકશે નહીં.” આ બેઠકમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ‘ચેપ્ટર 6’ અને ‘ચેપ્ટર 7’ના મહત્વ પર પણ ખાસ ભાર મૂક્યો હતો. ભારતે સમજાવ્યું હતું કે આ બંને પ્રકરણોને લાગુ કરવાની પ્રક્રિયા, નિયમો અને ભૌગોલિક પરિસ્થિતિઓ તદ્દન અલગ-અલગ હોય છે, જેને હાલની વાસ્તવિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ અમલમાં મૂકી શકાય.

  • ચેપ્ટર 7 હેઠળ કડક કાર્યવાહી ન કરવા સામે ચેતવણી

ભારતે વૈશ્વિક શાંતિ માટે ‘ચેપ્ટર 7’ ના મહત્વને રેખાંકિત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકરણ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે પણ વૈશ્વિક શાંતિ જોખમાય અથવા કોઈ દેશ આક્રમક વલણ અપનાવે, ત્યારે આ પ્રકરણ અંતર્ગત સૈન્ય કાર્યવાહી અને શાંતિ રક્ષકોની તૈનાતી જેવા કડક પગલાં લેવાની જોગવાઈ છે. હરીશ પર્વતનેનીએ વિશ્વ સમક્ષ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો ચેપ્ટર 7 હેઠળ સમયસર જરૂરી અને કડક પગલાં લેવામાં ન આવે, તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. તેનાથી વૈશ્વિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા વધુ કથળી શકે છે, જે સંયુક્ત રાષ્ટ્રના મૂળ ઉદ્દેશ્યો અને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code