દિલ્હીઃ વિશ્વ અસમાનતા રિપોર્ટ 2002માં ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત એક ગરીબ અને અસમાનતાઓથી ભરેલો દેશ છે. ભારતને લઈને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ એક એવો દેશ છે જ્યાં 10 ટકા વસતી પાસે રાષ્ટ્રની આવકનો 57 ટકા હિસ્સો છે. જ્યારે 50 ટકા નીચા વર્ગ પાસે માત્ર 13 ટકા હિસ્સો છે. આ રિપોર્ટ વર્ષ 2021 પર આધારિત છે. આ રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, વર્ષ 2020માં દેશની ગ્લોબલ ઈન્કમ પણ ઘણી નીચા સ્તર ઉપર પહોંચી ગઈ છે.
“વિશ્વ અસમાનતા રિપોર્ટ 2022” શીર્ષકવાળો રિપોર્ટ લુકાસ ચાન્સેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેઓ ‘વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ’ના સહ-નિર્દેશક છે. આ અહેવાલ તૈયાર કરવામાં ફ્રેન્ચ અર્થશાસ્ત્રી થોમસ પિકેટી સહિત ઘણા નિષ્ણાતોએ સહયોગ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે વિશ્વમાં સૌથી વધુ અસમાનતા ધરાવતા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે.
રિપોર્ટ અનુસાર, ભારતની પુખ્ત વસ્તીની સરેરાશ રાષ્ટ્રીય આવક રૂ. 2,04,200 છે, જ્યારે નીચલા વર્ગની આવક (50 ટકા) રૂ. 53,610 છે અને વસ્તીના ટોચના 10 ટકા લોકોની આવક લગભગ 20 ગણી એટલે કે રૂ. 11,66,520 કરતા પણ વધારે છે. ભારતની ટોચની 10 ટકા વસ્તી પાસે કુલ રાષ્ટ્રીય આવકના 57 ટકા અને એક ટકા વસતી પાસે 22 ટકા છે. આવી જ રીતે વસ્તીના નીચેલા વર્ગનો હિસ્સો માત્ર 13 ટકા છે. આમ ભારતની ઘરેલુ સંપતિ રૂ. 9.83 લાખ જેટલી છે.
આ હિસાબે ભારતમાં સરેરાશ ઘરગથ્થુ સંપત્તિ 9,83,010 રૂપિયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત એક ગરીબ અને ઘણો અસમાનતા ભર્યો દેશ છે જે ભદ્ર વર્ગથી ભરેલો છે.” ભારતમાં લિંગ અસમાનતા ઘણી વધારે છે. “મહિલા શ્રમિકોની આવકનો હિસ્સો 18 ટકા છે. જે આ એશિયાની સરેરાશ કરતાં ઓછી છે. આમ ભારતમાં રોજગારીની યોગ્ય તક નહીં હોવાથી ભારતનું ટેલેન્ટ વિદેશ જતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.