- ચંદ્ર પર વિપુલ પ્રમાણામાં છે ઓક્સિજન
- 1 લાખ વર્ષ સુધી ચાલે તો પણ ના ખતમ થાય તેટલો છે ઓક્સિજન
- નાસા-ઓસ્ટ્રેલિયાની અવકાશી સંસ્થાએ કર્યો આ દાવો
નવી દિલ્હી: ચંદ્રમાં પર પોતાનું ઘર વસાવવાનું માનવજાતનું વર્ષોથી એક સ્વપ્ન રહ્યું છે. આ માટે જ આ દિશામાં વૈજ્ઞાનિકો ચંદ્ર પર પાણી અને ઓક્સિજનની શોધમાં સતત કોઇને કોઇ રીતે સંશોધન કાર્ય હાથ ધરતા રહે છે અને અનેક શોધ કરતા રહે છે. ભૂતકાળમાં વૈજ્ઞાનિકોએ ચંદ્ર પરથી ઓક્સિજન મળ્યો હોય તેવો પણ દાવો કર્યો હતો.
ચંદ્ર પર વિપુલ માત્રામાં ઓક્સિજન છે જે 800 કરોડ લોકો માટે 1 લાખ વર્ષ સુધી ચાલે તો પણ ખતમ નહીં થાય તેવો દાવો વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે. નાસા અને ઓસ્ટ્રેલિયાની અવકાશ સંસ્થા દ્વારા સંયુક્તપણે આ દાવો કરવામાં આવ્યો છે. નાસા અને ઓસ્ટ્રેલિયાની અવકાશ સંસ્થા દ્વારા એક સોદો થયો હતો જે અનુસાર આર્ટેમિસ પ્રોગામ અંતર્ગત ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીનું રોવર નાસાને ચંદ્ર પર લેન્ડ કરવાનું હતું.
હવે જે ખડકો શ્વાસ લેવા માટે પૂરતો ઓક્સિજન પૂરો પાડે છે તેની તપાસ કરવાનું કામ ઓસ્ટ્રેલિય રોવરનું હતું. ત્યારબાદ બંને એજન્સીઓએ દાવો કર્યો છે કે ચંદ્રની ઉપરની સપાટી પર વિપુલ પ્રમાણમાં ઓક્સિજન છે. જો કે તે પથ્થરના રૂપમાં છે અને અનેક સ્તરો નીચે દટાયેલો છે.
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી તેના રોવર દ્વારા આ પત્થરોને એકત્ર કરવા અને તેમાંથી શ્વાસ લેવા યોગ્ય ઓક્સિજન કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓક્સિજનવાળા પત્થરોને ચંદ્રમાની નીચેના સ્તરમાંથી કાઢવા પડશે અને તેને ગેસમાં રૂપાંતરિત કરવા પડશે. તમને જણાવી દઈએ કે ચંદ્રની સપાટી પર મોટાભાગના સિલિકા, આયર્ન, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ ઓક્સાઈડ ભરપૂર પ્રમાણમાં છે. ચંદ્રની સપાટી પર ઓક્સિજન પણ વિપુલ પ્રમાણમાં છે.