કાશ્મીરી અલગતાવાદી શબ્બીર અહમદ શાહની ધરપકડ, NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે
શ્રીનગર, 18 એપ્રિલ, 2026: કાશ્મીરી અલગતાવાદી શબ્બીર અહમદ શાહની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આતંકી સમર્થકને જમ્મુની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુ-કાશ્મીરના 1996ના એક કેસમાં કાશ્મીરી અલગતાવાદી નેતા શબ્બીર અહેમદ શાહની ધરપકડ કરી છે. નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના સ્પેશિયલ જજ પ્રશાંત શર્માએ NIA ને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપ્યા છે. હવે આરોપીને 20 એપ્રિલ 2026 ના રોજ બપોરે 12 વાગ્યા પહેલા જમ્મુની NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દિલ્હી : ગઝવા-એ-હિંદની વિચારધારા ધરાવતા 4 આતંકીઓની ધરપકડ, લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટની રેકી કરી હતી
17 જુલાઈ 1996નો કેસ
આ મામલો શ્રીનગરના શેરગઢી પોલીસ સ્ટેશનમાં 17 જુલાઈ 1996 ના રોજ નોંધાયેલી FIR સાથે જોડાયેલો છે. NIA એ આ 30 વર્ષ જૂના કેસને 1 એપ્રિલ 2026 ના રોજ ફરીથી રજિસ્ટર કર્યો હતો. NIA ના જણાવ્યા અનુસાર, આરોપી શબ્બીર અહેમદ શાહની આ કેસમાં સંડોવણી બદલ 17 એપ્રિલ 2026 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવાર સાંજે તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જજ પ્રશાંત શર્માએ 17 એપ્રિલના પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, “કેસની ગંભીરતા અને સ્વરૂપને જોતા, અરજીમાં NIA ની ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી મંજૂર કરવામાં આવે છે. NIA જમ્મુને આરોપી શબ્બીર અહેમદ શાહના 03 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપવામાં આવે છે. તપાસ અધિકારીને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ આરોપીને 20 એપ્રિલે બપોરે 12:00 વાગ્યે અથવા તે પહેલાં નિયત NIA સ્પેશિયલ કોર્ટ, જમ્મુ સમક્ષ રજૂ કરે.”
શબ્બીર શાહ પરના આરોપ
NIAએ ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું હતું કે, આ મામલો 17 જુલાઈ 1996 ના રોજ હુર્રિયત કાર્યકર્તાઓની ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. આરોપ છે કે સૈયદ અલી શાહ ગિલાની, શબ્બીર અહેમદ શાહ, અબ્દુલ ગની લોન, મોહમ્મદ યાકુબ વકીલ, જાવિદ અહેમદ મીરના નેતૃત્વમાં અંતિમવાદીઓની ભીડ એક માર્યા ગયેલા આતંકવાદી હિલાલ અહેમદ બેગના મૃતદેહને પારિમપોરાથી ઈદગાહ, શ્રીનગર લઈ જઈ રહી હતી. હિલાલ અહેમદ બેગ એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
NIAએ કહ્યું કે આ અંતિમવાદીઓની ભીડ ભારત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહી હતી. નાઝ ક્રોસિંગ પાસે જ્યારે SHO શેરગઢી પોલીસ સ્ટેશને ભીડને રોકવાનો પ્રયાસ કર્યો તો તે હિંસક બની ગઈ હતી. આરોપ છે કે અંતિમવાદીઓએ મિલકતને નુકસાન પહોંચાડ્યું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. NIA અનુસાર અંતિમવાદીઓની ભીડમાં હાજર કેટલાક અજ્ઞાત આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર જાનથી મારી નાખવાના ઈરાદે ગોળીબાર કર્યો હતો, જેમાં સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ અમૃતા ફડણવીસનો દાવો: એક્સિસ બેંકમાં પણ TCS જેવું જ થયું હતું
ષડયંત્રનો પત્તો લગાવવા પૂછપરછ જરૂરી
NIA એ કોર્ટમાં જણાવ્યું હતું કે આ મામલાની તપાસ પ્રાથમિક તબક્કે છે. એજન્સીએ દલીલ કરી હતી કે આરોપી શબ્બીર અહેમદ શાહને દિલ્હી બહાર લઈ જવા અને મોટા ષડયંત્રનો પત્તો લગાવવા માટે કસ્ટડીમાં પૂછપરછની જરૂર છે. સાથે જ આ ગુનાઓમાં સામેલ અન્ય સહ-ષડયંત્રકારોની ઓળખ કરવાની છે.
શબ્બીર શાહને બે કેસમાં મળી ચૂક્યા છે જામીન
શબ્બીર શાહને 12 માર્ચ 2026 ના રોજ NIA ના એક અન્ય કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારબાદ 28 માર્ચ 2026 ના રોજ તેમને મની લોન્ડરિંગ કેસમાં પણ જામીન આપવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર, શબ્બીર શાહે અત્યાર સુધીમાં 39 વર્ષની નજરકેદ અને કસ્ટડીની સજા ભોગવી છે.


