ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને એલએનસીટી યુનિવર્સિટી, ભોપાલ દ્વારા માનદ ડૉક્ટરેટની ડિગ્રી એનાયત
- રાજ્યસભાના સાંસદ અને સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર રાજીવ શુક્લા, સાંસદ અને સિનેમેટિક આઈકોન રવિકિશન, ફિલ્મ નિર્દેશક મુકેશ છાબરા, એસ.એ.જી.ઈ યુનિ.ભોપાલના કુલપતિ સંજીવ અગ્રવાલને પણ માનદ ડૉક્ટરેટની ડિગ્રી એનાયત
નડિયાદ, 6 મે, 2026 – ખેડાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ભોપાલસ્થિત એલએનસીટી યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. દેવુસિંહ ઉપરાંત આ પદવીદાન સમારંભમાં સાંસદો રાજીલ શુક્લ, રવિકિશન, ફિલ્મ નિર્દેશક મુકેશ છાબરા સહિત અન્ય મહાનુભાવને પણ માનદ ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભૂતપૂર્વ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને હાલ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને રાષ્ટ્રસેવામાં સમર્પિત જીવન અને વહીવટી, સામાજિક યોગદાન માટે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
તા. 4 મે, 2026ના રોજ એલ એન સીટી વિશ્વ વિધાલય સંકુલ, રાયસેન રોડ, ભોપાલમાં યોજાયેલા યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ખેડાના સાંસદને માનદ ડૉક્ટરેટની ડિગ્રી એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું. પદવીદાન સમારંભ પૂર્વે ભોપાલની ભૂમિ પર પહોંચતા સ્થાનિક એરપોર્ટ પર ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને તેમનાં ધર્મપત્ની ભારતીબેનનું બેન્ડવાજાની સંગીત સુરાવલી સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ભાજપના આ મહિલા કાર્યકરે 28 વર્ષ પહેલા લીધું હતું ચંપલ નહીં પહેરવાનું પ્રણ, જુઓ Video
2014માં દેશના વડાપ્રધાનપદે નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રનું સુકાન સંભાળ્યું ત્યારથી સતત ત્રીજીવાર સાંસદ તરીકે દેવુસિંહ ચૌહાણ ખેડા સંસદીય વિસ્તારનું જનપ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તે દરમિયાન તેમણે ભારત સરકારના સંચાર રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી છે. એક ઉમદા જન પ્રતિનિધિ તરીકે દેવુસિંહ ચૌહાણે ખેડા સંસદીય વિસ્તારની માતર વિધાનસભા બેઠક પરથી વર્ષ 2007માં સૌપ્રથમવાર અને વર્ષ 2012માં બીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી ઉત્તરોતર સમાજ અને રાષ્ટ્રની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતા રહ્યા છે.
જાહેરજીવનમાં પગરણ માંડ્યા તે પૂર્વે શ્રી દેવુસિંહ ચૌહાણ આકાશવાણી અને દૂરદર્શનમાં એન્જિનિયર તરીકે ભારત સરકારની ફરજ બજાવતા હતા. ઉચ્ચ પગારની કેન્દ્ર સરકારની નોકરી છોડી સમાજજીવનની ચિંતા કરી નવી પેઢીનું પણ રાજનીતિ ક્ષેત્રે ઘડતર થાય તેવા ઉમદા ઉદ્દેશથી જાહેરજીવન અપનાવ્યું છે.
આ પણ વાંચોઃ સરકારના ઉચ્ચ અધિકારીના નામે ફેક મેસેજ મોકલીને ફ્રોડ કરતા સાયબર માફિયાઓ
એલ એન સી ટી યુનિ.ભોપાલના પાંચમાં પદવીદાન સમારંભમાં ઉપસ્થિત મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, એલ એન યુનિ.ભોપાલે વિશ્વસ્તરીય શૈક્ષણિક ગુણાંકો પ્રાપ્ત કર્યા છે. એટલું જ નહીં દેશની નવી શિક્ષણનીતિની દિશામાં પણ નોંધપાત્ર પહેલ કદમી કરી છે.
આ પદવીદાન સમારંભમાં સાંસદ દેવુસિંહ ચૌહાણે પોતાને એનાયત થયેલી માનદ ડૉક્ટરેટની ડિગ્રી બદલ પદવીદાન સમારંભના અધ્યક્ષ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, એલ એન સીટી યુનિ .ગ્રુપના ચેરમેન જયપ્રકાશ ચોક્સે સહિત યુનિ.મેનેજમેન્ટ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ સન્માન મારું વ્યક્તિગત નથી, પરંતુ જે જનતાએ મને તેમના જન પ્રતિનિધિ તરીકે ચૂંટી સમાજસેવા અને રાષ્ટ્ર સેવા કરવાની તક પૂરી પાડી તે મારા સંસદીય વિસ્તારની જનતાનું સન્માન છે.
આ પણ વાંચોઃ મર્સિડીઝ કાર પર MLA GUJARATનું નકલી બોર્ડ લગાવીને રોફ જમાવતા બે નશાખોર પકડાયા
સમારંભમાં મીડિયા વિઝનરી અને રાજ્યસભા સાંસદ રાજીવ શુક્લા, સિનેમેટિક પ્રતિભા અને સાંસદ રવિકિશન, ફિલ્મ નિર્દેશક અને નિર્માતા મુકેશ છાબરા, એસ. એ.જી .ઈ .યુનિ. ભોપાલના કુલપતિ સંજીવ અગ્રવાલને પણ માનદ ડૉક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. એલએનસીટી શૈક્ષણિક યુનિટની સ્થાપના જાણીતા શિક્ષણવિદ અને સમાજસેવક જયનારાયણ ચોક્સેના નેતૃત્વ હેઠળ થઈ હતી.


