અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મનપાની મતગણતરી તથા તાલિકા-જિલ્લા પંચાયતની મતગણતરી અલગ-અલગ રાખવામાં આવી છે. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી પંચે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને તા. 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. દરમિયાન હાઈકોર્ટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અરજી થઈ છે. જેમાં અરજદારે મુક્ત અને ન્યાયી ચૂંટણી કરવાની દાદ માગી છે. તેમજ રજૂઆત કરી છે કે, મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી બાદ, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવે તો મતદાર મહાનગરપાલિકાની ચૂંટણીના પરીણામથી પ્રભાવિત થઈ શકે છે. આથી રાજ્ય ચૂંટણી પંચે મહાનગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીનું પરીણામ એક જ દિવસે જાહેર કરવું જોઈએ. હાઈકોર્ટમાં આ રીટ સંદર્ભે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બંને પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. તેમજ ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.