યુપી-બિહાર સહિત 15 રાજ્યોમાં વરસાદ અંગે હવામાન વિભાગનું એલર્ટ
નવી દિલ્હી, 16 મે 2026: દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા શનિવારે ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબ સહિત દેશના 15 રાજ્યો માટે ભારે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને લોકોને અત્યંત સાવધ રહેવાની અપીલ કરી છે. ચેતવણી અનુસાર, દેશના અનેક વિસ્તારોમાં 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ફરી એકવાર ભયંકર તોફાન આવવાની આશંકા છે.
પંજાબના છ જિલ્લાઓમાં કુદરતનો બેવડો માર જોવા મળી શકે છે. ચંદીગઢ સ્થિત હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, અમૃતસર, હોશિયારપુર અને મુક્તસરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વાવાઝોડું આવવાની સંભાવના છે. આ વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ, આ આફત બાદ તરત જ હવામાન વિભાગે 16 મેથી 20 મે દરમિયાન પંજાબના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર લૂ (હીટવેવ) ચાલવાની આશંકા વ્યક્ત કરીને ‘યેલો એલર્ટ’ પણ જારી કર્યું છે.
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં શુક્રવારે ધૂળની ડમરીઓ અને તોફાની પવન બાદ સવારનું વાતાવરણ આહલાદક રહ્યું હતું અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે, આ રાહત બહુ લાંબી નહીં ટકે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આગામી દિવસોમાં દિલ્હી-NCRમાં તાપમાનનો પારો રોકેટ ગતિએ વધશે. શનિવારે જ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. 17 મેએ ગરમીનો પ્રકોપ વધશે અને પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બપોર પછી આકાશમાં આંશિક વાદળો છવાશે અને વીજળીના કડાકા સાથે હળવી આંધી આવી શકે છે.
ગરમીથી મળેલી થોડીક રાહત બાદ ઉત્તર ભારતમાં ફરી એકવાર અસહ્ય ઉકળાટ અને ગરમ હવાઓનો નવો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા સ્થાનિક લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.


