- કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર માટે દેશની જનતા પાસે નામ મંગાવ્યા
- પ્રજાસત્તાક દિવસ 2022ની પૂર્વ સંધ્યાએ જાહેર થતાં આ પુરસ્કાર માટે ઑનલાઇન ભલામણ ખુલ્લી છે
- આ પુરસ્કાર માટે નામની ભલામણ ઑનલાઇન જ સ્વીકારાશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારો માટે દેશની જનતાને નામની ભલામણ કરવા માટે અપીલ કરી છે. સરકાર અનુસાર, તે પદ્મ પુરસ્કારને જનતાના મદ્મમાં પરિવર્તિત કરવા માંગે છે. કેન્દ્ર સરકારે તમામ નાગરિકોને પ્રતિષ્ઠિત નાગરિક સન્માન માટે સ્વ-નામની નોંધણી સહિત અન્યના નામની નોંધણી કે ભલામણ કરવા માટે અપીલ કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર, પ્રજાસત્તાક દિવસ 2022ની પૂર્વ સંધ્યાએ જાહેર થતાં આ પુરસ્કાર માટે ઑનલાઇન ભલામણ ખુલ્લી છે. જેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2021 છે. મંત્રાલય અનુસાર આ પદ્મ પુરસ્કાર માટે નામની ભલામણ કે નોંધણી માત્ર ઑનલાઇન જ સ્વીકારાશે.
સરકારે અગાઉ તમામ રાજ્યોને સંભવિત પુરસ્કાર વિજેતાઓની ઓળખ કરવા માટે એક વિશેષ ખોજ સમિતિનું ગઠન કરવાની સૂચના આપી છે. મંત્રાલય દ્વારા રાજ્યોને મોકલાયેલા પત્રમાં કહેવાયું છે કે, ઘણીવાર એવા લોકો માત્ર એટલા માટે ધ્યાનમાં નથી આવતા કારણ કે તેઓ પોતાના કામની જાહેરાત નથી કરતા. સરકારે કેન્દ્રિય વિભાગો સહિત રાજ્ય સરકારોને આવા અસાધારણ વ્યક્તિઓની ઓળખ કરવા માટે જણાવ્યું છે.
મહત્વનું છે કે, પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સામેલ છે જેમાં મુખ્યત્વે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી સામેલ છે.