- વિશ્વભરમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે
- જો કે આ ડેલ્ટા વેરિએન્ટ સામે કોવેક્સિન છે વધુ અસરકારક
- ICMRએ પોતાના અભ્યાસમાં આ વાત જણાવી છે
નવી દિલ્હી: વિશ્વભરમાં હાલમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે પરંતુ આ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર છે. ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર ભારત બાયોટેકની કોવેક્સિન કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયંટ સામે અસરકારક હોવાનું સાબિત થયું છે.
ભારત બાયોટેકે કોવેક્સિનનું નિર્માણ કર્યું છે જે સંપૂર્ણપણે સ્વદેશી છે. આ વેકેસિન હૈદરાબાદની લેબમાં તૈયાર કરવામાં આવી છે. જ્યારે કોવિશિલ્ડને ઑક્સફર્ડ એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે અને ભારતમાં તેનું નિર્માણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરાયું છે.
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો હતો પરંતુ છેલ્લા 6 દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. એટલે કે છેલ્લા 6 દિવસમાં બે લાખ 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આજે 40,134 નવા કેસ નોંધાયા હતા અને 36,946 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.
કેટલા લોકોનું થયું વેક્સિનેશન
દેશમાં વેક્સિનશન ડ્રાઇવ પર નજર કરીએ તો દેશમાં અત્યારસુધીમાં કુલ 47 કરોડ 22 લાખ 23 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. દેશમાં સગર્ભા મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે. દેશમાં અત્યારસુધીમાં 46 કરોડ 96 લાખ 45 હજાર 494 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.