મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધતા કેસ વચ્ચે લોકડાઉન પહેલી જૂન સવારે 7 વાગ્યા સુધી લંબાવાયું
- કોરોના સંક્રમણથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત
- મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું
- હવે પહેલી જૂન સવારે 7 વાગ્યા સુધી રહેશે લોકડાઉન
મુંબઇ: કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર છે અને ત્યાં હજુ પણ કોરોના સંક્રમણના ચિંતાજનક આંકડાઓ સામે આવતા હવે રાજ્ય સરકારને લોકડાઉન લંબાવવાની ફરજ પડી છે. રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં લોકડાઉન પહેલી જૂન સવારે 7 વાગ્યા સુધી લંબાવ્યું છે. તે ઉપરાંત અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવતા લોકો માટે RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોનાના 46,781 નવા કેસ સામે આવ્યા છે. નવા મામલા સામે આવ્યા બાદ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 52.2 લાખ થઇ ગયા છે જ્યારે મૃતકોની સંખ્યા 78,007 સુધી પહોંચી ગઇ છે. મુંબઇમાં કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. મુંબઇમાં કોરોનાની સ્થિતિ વકરતા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, મુંબઇમાં 14થી 20 એપ્રિલ સુધી કોરોનાથી થનારા મોતનો દર 0.6 ટકા હતો, જે 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધી વધીને 1.14 ટકા સુધી પહોંચી ગયો છે. ત્યારબાદ 28 એપ્રિલથી 4 મે સુધી 2.27 ટકા સુધી પહોંચ્યો છે.
મહત્વનું છે કે, કોરોના વાયરસના કહેરના કારણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,62,727 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,120 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,37,03,665 થઈ ગઈ છે.
(સંકેત)