ગુજરાત યુનિ,એ ઉત્તરવહી કાંડમાં કાર્યવાહી ન કરતા NSUIએ કૂલપતિની ચેમ્બરમાં નારા લગાવ્યાં
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગની પરીક્ષાની 28 ઉત્તરવહીઓ ગાયબ થયા બાદ ગુજરાત યુનિવર્સિટીએ માત્ર પોલીસ ફરિયાદ નોંધાવીને પોતાની ફરજ પુરી થઈ ગઈ હોય તેમ જવાબદારો સામે કોઈ જ પગલાં લેવાયા નથી. આ મામલે સની ચૌધરી નામના વ્યક્તિનું નામ ખૂલ્યું છે. NSUIનો આક્ષેપ છે કે, આરોપી ભાજપ સાથે જોડાયેલો હોવાથી યુનિવર્સિટી કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. NSUI દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. કુલપતિને રજૂઆત કરવા ગયેલા કાર્યકરો કુલપતિની ઓફિસમાં સામે જ નીચે બેસી ગયા હતા. અને આ મામલે કસુરવારો સામે પગલાં લેવાની માગ કરી છે.
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોએ ઉત્તરવહી કૌભાંડના 15 દિવસ બાદ પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તથા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઈન્ટર્નલ કમિટી બનાવીને જવાબદાર કર્મચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના વિરોધમાં ગુરૂવારે NSUI દ્વારા યુનિ.કેમ્પસમાં વિરોધ કરવામાં આવ્યો હતો. NSUI ના કાર્યકરોએ બેનર સાથે કુલપતિ ઓફિસમાં પહોંચ્યા હતા. કુલપતિને NSUIના કાર્યકરોએ ઉગ્ર રજૂઆત કરી હતી. કુલપતિ સાથે ઉગ્ર બોલાચાલી બાદ NSUIના કાર્યકરો કુલપતિ ઓફિસમાં જ બેસી ગયા હતા અને કુલપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પોલીસે વિદ્યાર્થીઓને ઓફિસની બહાર કાઢ્યા હતા.
NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહીકાંડને પખવાડિયા કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં જવાબદારો સામે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. આ અંગે સની ચૌધરીનું નામ પણ તપાસમાં ખુલ્યું છે, છતાં આરોપી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. બીજી તરફ આરોપી ભાજપ સાથે જોડાયેલો હોવાથી યુનિવર્સિટી પણ ઇન્ટર્નલ કમિટી બનાવીને જવાબદાર સામે કોઈ પગલાં લેતી નથી. તેથી, અમારી માંગણી છે કે, ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર્નલ કમિટી બનાવી જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.