Homeગુજરાતીભારત સાથેની સરહદની સમસ્યાનો કોઈ પણ વિવાદ વિના રાજદ્વારી માધ્યમથી ઉકેલ લાવવાની...

ભારત સાથેની સરહદની સમસ્યાનો કોઈ પણ વિવાદ વિના રાજદ્વારી માધ્યમથી ઉકેલ લાવવાની અમારી પ્રાથમિકતા: નેપાળ 

નવી દિલ્હીઃ નેપાળના નવનિયુક્ત વિદેશ મંત્રી ડો.અરજુ રાણા દેઉવાએ ભારત સાથેના સરહદી વિવાદને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાની વાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા સરહદી વિવાદોનું રાજનીતિકરણ ન થવું જોઈએ.

વિદેશ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારોને સંક્ષિપ્ત પ્રતિભાવ આપતાં ડૉ. દેઉવાએ જણાવ્યું હતું કે, ભારત સાથેની સરહદની સમસ્યાનો કોઈ પણ વિવાદ વિના રાજદ્વારી માધ્યમથી ઉકેલ લાવવાની અમારી સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું હતું કે, ભારત સાથેના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા સરહદી વિવાદોને બંને દેશોના ઈતિહાસ, ભૂગોળ અને નવી ટેકનોલોજી જીપીએસ દ્વારા ઉકેલવાના પ્રયાસો કરવામાં આવશે.

વિદેશ મંત્રી ડો.આરજુ દેઉવાએ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સરહદી વિવાદનું પહેલાની જેમ રાજનીતિ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ભારત સાથે રાજદ્વારી વાતચીત દ્વારા જ કોઈપણ વિવાદનો ઉકેલ લાવવામાં આવશે. ડો.દેઉવાએ જણાવ્યું હતું કે, નવી ટેક્નોલોજી દ્વારા હવે બોર્ડર પર જીપીએસ દ્વારા બોર્ડર પિલર મુકવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, નેપાળ અને ભારત વચ્ચે 1850 કિલોમીટર લાંબી સરહદ છે. નેપાળ ભારતના રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડથી ઘેરાયેલું છે. બંને દેશો વચ્ચે કેટલીક જગ્યાએ સીમા વિવાદ છે.  

સંબંધિત લેખો

Most Popular