રાજકોટઃ પાણી ચોરી અટકાવવા મનપાએ બનાવ્યો એકશન પ્લાન
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટ શહેરમાં પાણી ચોરીના બનાવોને અટકાવવા માટે મનપાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. પાણી ચોરી કરનારને રૂ. બે હજારનો દંડ કરવામાં આવશે. આ ઉપરાંત ભૂતિયાનળના કેસમાં જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. મનપાએ પાણી લોસ ઘટાડવા પણ આયોજન કર્યું છે. પાણી લોસ 9 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનું આયોજન કરાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્રમાં વર્ષોથી પાણીની સમસ્યા હતી. રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાના નિકાલ માટે આયોજન કર્યું હતું. જે હેઠળ સૌરાષ્ટ્રના જળાશયોને સૌની હેઠળ નર્મદાના પાણીથી ભરવામાં આવે છે. જેથી દર વર્ષે જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવે છે. રાજકોટ શહેરને આજી અને ન્યારી ડેમમાંથી પાણી પુરુ પાડવામાં આવે છે. રાજકોટમાં શહેરની જનતાને પાણી માટે ઠેર-ઠેર ભટકવુ ના પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ ઉનાળામાં પાણીને લઈને મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પાણી ચોરી અટકાવવા માટે મનપાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શહેરના વિવિધ વોર્ડમાં તપાસ માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. 110 જેટલી ટીમો બનાવવામાં આવી છે.