વિશ્વમાં કોરોનાના કોહરામ વચ્ચે ગુજરાતનું એકમાત્ર ગામ જ્યાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી
- ગુજરાતમાં આવેલું એક ગામ કે જ્યાં હજુ પણ કોરોનાનો એકેય કેસ નોંધાયો નથી
- અમરેલી જીલ્લાના શિયાળબેટ ગામમાં છેલ્લા 1 વર્ષથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી
- અહીંયા રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે
નવી દિલ્હી: એક તરફ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ યથાવત્ છે. રાજ્યમાં દૈનિક ધોરણે નોંધાતા કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ગુજરાતમાં હવે 6000 જેટલા કેસ આવી રહ્યા છે. તેવામાં વિશ્વનો એવો કોઇપણ ખુણો નથી જ્યાં કોરોનાએ પગપેસારો ના કર્યો હોય. પરંતુ આ બધા વચ્ચે પણ ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં હજુ પણ કોરોનાએ દસ્તક નથી દીધી. ગુજરાતના અમરેલી જીલ્લાના એક ગામ શિયાળબેટમાં અત્યારસુધી કોરોનાનો એકેય કેસ નોંધાયો નથી. અહીંયા રસીકરણ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ ગામની વાત કરીએ તો દરિયાઇ ટાપુ પર સ્થિત શિયાળબેટ ગામ 1 વર્ષ પછી પણ કોરોનામુક્ત છે. આ ગામમાં 6 હજારથી વધારેની વસ્તી છે. અહીંયા સ્થાનિકો મોટા ભાગે માછીમારીના વ્યાવસાય સાથે સંકળાયેલા છે. અમરેલી જીલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના દરિયાઇ ટાપુ ગામ શિયાળબેટમાં આનંદીબેન પટેલની સરકાર હતી તે સમયે રાજ્ય સરકાર દ્વાર દરિયાઇ કેબલ મારફતે વિજળી પહોંચાડી હતી. ત્યાં સુધી અહીં વીજળી પણ નહોતી. અહીંયા અત્યારે વેક્સિનેશન કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે.
આ શિયાળબેટ ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીંય પહોંચવા કોઇપણ પ્રકારનો રોડ રસ્તો નથી. અહીં જવા માટે પીપાવાવની જેટ્ટી નજીકથી જ ખાનગી હોડકા દ્વારા પહોંચી શકાય છે. આરોગ્ય વિભાગ, ગ્રામજનો સહિત લોકો શિયાળબેટ બોટ મારફતે અવર જવર કરે છે. શિયાળબેટના લોકો જરૂરિયાત વગર બહાર અવર જવર કરતા નથી. ક્યારેક મોટી ખરીદી હોય તો નજીકના તાલુકામાં જતા હોય છે.
ખાસ કરીને આ લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેથી ગામની બહાર જવાની મોટા ભાગે આવશ્યક્તા રહેતી નથી તેમજ ટાપુ વિસ્તાર હોવાને કારણે પણ આ ગામમાં હજુ સુધી કોરોનાના એકપણ કેસ નોંધાયા નથી અને હજુ પણ ગામ સંપૂર્ણપણે કોરોના મુક્ત છે.
(સંકેત)