ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળે કાર્યભાર સંભાળી લીધો છે. દરમિયાન બજેટ સત્રને ગણતરીના મહિના બાકી રહ્યા હોવાથી નાણા વિભાગના અધિકારીઓ બજેટની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે.આગામી 2023-24 ના વર્ષ માટે નાણા વિભાગ દ્રારા અંદાજપત્રની તૈયારીઓ શરૂ કરી છે. નાણા વિભાગના અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં વિભાગ વાર સમીક્ષાઓ હાથ ધરવામાં આવશે. ભાજપના સંકલ્પ પત્રને બજેટમાં સમાવી લઈને યોજનાઓનું આયોજન કરવા નાણામંત્રીએ નાણાં વિભાગના અગ્ર સચિવ સાથેની બેઠકમાં સુચના આપી હતી. વધુને વધુ લોકો સુધી જનકલ્યાણના કામો પહોંચાડવા આયોજન હાથ ધરવામાં આવે તેવી લાગણી પણ વ્યકત કરી છે.
ગાંધીનગરના સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના નાણા વિભાગ દ્વારા સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાના અતં સુધીમાં તમામ વિભાગોની યોજનાકીય બાબતોની સમીક્ષા પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે.પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીના કારણે સમીક્ષા 15 દિવસ મોડી ચાલી રહી છે પરંતુ નાણા વિભાગ દ્વારા જે આયોજન કરવાના છે, તે મોટાભાગના હાથ ધરી દેવામાં આવ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તમામ વિભાગના અગ્ર સચિવોની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં રાજ્યના નાણા વિભાગને બજેટ ની તૈયારી ના સંદર્ભે સંકલ્પ પત્ર માં જાહેર કરવામાં આવેલી તમામ યોજનાઓને ન્યાય મળે તે રીતનું આયોજન કરવાની સુચના આપવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિભાગના અધિકારીઓને આ મામલે કાળજી રાખવા જણાવ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગત વર્ષે ભુપેન્દ્ર પટેલની સરકારનું પ્રથમ બજેટ હતુ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનું પણ પ્રથમ બજેટ હતું. હવે બીજું બજેટ આગામી ફેબ્રુઆરીના અતં કે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં રજૂ થશે. તે પૂર્વે નાણાંકીય વર્ષ 2023-24ના બજેટ બાબતે બેઠકો શરૂ કરવામાં આવશે. જેમાં રાજ્યના તમામ વિભાગો એટલે કે 26 વિભાગોને અલગ અલગ વિભાગીય બેઠકો યોજવામાં આવશે જેમાં વર્ષ 2022-23 દરમિયાન વિભાગ દ્રારા કરવામાં આવેલા કાર્યેા તથા બજેટની જોગવાઈ પ્રમાણે કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને હજુ કેટલા રૂપિયા વણ વપરાયેલાં પડી રહ્યા છે, તે બાબતને નાણાં વિભાગને બેઠક પૂર્ણ થયા બાદ અંતિમ અહેવાલ નાણાં વિભાગને સોંપવામાં આવશે.