1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા જ નથી, મુસાફરોને પડતી મુશ્કેલી
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા જ નથી, મુસાફરોને પડતી મુશ્કેલી

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા જ નથી, મુસાફરોને પડતી મુશ્કેલી

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે જિલ્લાના મુખ્ય ગણાતા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશન પર મુસાફરો માટે પાણીની કોઈ સુવિધા જ નથી. એસટી બસ સ્ટેશનમાં મુસાફરો હાથમાં ખાલી પાણીની બોટલ લઈને પાણી ભરવા માટે ભટકી રહ્યા છે.  બસ સ્ટેશનમાં પીવાના પાણી સુવિધા ન હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.  સુરેન્દ્રનગર શહેરના એસટી બસ સ્ટેશનમાં શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000થી વધુ મુસાફરો આવે છે. પરંતુ બસ સ્ટેશનમાં મુસાફરોને પીવાના પાણીની સુવિધા ન હોવાથી પૈસા ખર્ચીને પાણીની બોટલો ખરીદવાની ફરજ પડી રહી છે. આથી પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં એસટીની સુવિધા માટે સૌથી મોટો સુરેન્દ્રનગર શહેરમાં એસટી ડેપો આવેલો છે. બીજી તરફ આ જે જૂનો ડેપો હતો તે પાડી દઇને તે સ્થળે નવો ડેપો (એસટી બસ સ્ટેશન) બનાવવામાં આવી રહ્યો છે. જેને લઇને હંગામી બસ સ્ટેશન ઊભું કરીને મુસાફરો માટે કામચલાઉ વ્યવસ્થા કરાઇ છે. પરંતુ આ બસ સ્ટેશનમાં અનેક અસુવિધાઓને લઇને મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં દરરોજ અંદાજે 3000થી વધુ મુસાફર આવી રહ્યા છે. અગાઉ બસ સ્ટેશનમાં એક સિન્ટેક્ષની પાણીની ટાંકી મૂકીને મુસાફરો માટે પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લી 3 ઉનાળાની સિઝનથી આ પરબમાંથી પાણી ન મળતું હોવાની રાવ ઉઠી હતી.

સુરેન્દ્રનગરના એસટી બસ સ્ટેશનમાં પુરતી સુવિધા ન હોવાથી કેટલાક મુસાફરોએ એવો બળાપો વ્યક્ત કર્યો હતો કે,  બસ સ્ટેશનની પરબે પાણી પીવા આવીએ ત્યારે કોઇ જ વ્યવસ્થા નથી, પાણીના નળ પણ બંધ છે. પાણીની ટાંકીમાં પાણી નથી અને પરબમાં જ્યાં પાણી ભરવાની જગ્યા છે તે પાણીના પાઉચ સહિતના કચરા સાથેની ગંદકીથી દૂષિત બની છે. પાણી ન હોવાના કારણે બાળકો, વૃદ્ધોને પૈસા ખર્ચીને પાણી પીવડાવવાનો વારો આવે છે. હાલ ઉનાળાના તાપથી લોકોને તરસ લાગવાથી પાણીની અતિ જરૂરિયાત રહે છે. આથી એસટીના જવાબદાર તંત્ર દ્વારા આ પરબની ભાળ લઇને લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મીઓ સહિતના સ્ટાફ માટે પણ રૂ. 300થી 400 ખર્ચીને પાણીના ટાંકા મંગાવીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code