ટી20 વિશ્વકપઃ શ્રીલંકામાં રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મહામુકાબલો
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: સમગ્ર વિશ્વના ક્રિકેટ પ્રેમીઓની નજર જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે સમય આવી ગયો છે. આવતીકાલે એટલે કે રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો ખેલાશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ અત્યારે શાનદાર લયમાં છે. ગ્રુપ સ્ટેજની શરૂઆતની મેચોમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. ટીમ માટે હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડ પ્રદર્શન અને જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની શકે છે. ખાસ કરીને ઓપનિંગમાં શુભમન ગિલ અને વિરાટ કોહલીની જોડી પાકિસ્તાની બોલરો પર આક્રમણ કરવા સજ્જ છે.
આવતીકાલની મેચમાં પ્લેઈંગ ઈલેવનને લઈને સૌથી મોટો પ્રશ્ન અભિષેક શર્માની ફિટનેસ છે. પેટના ઇન્ફેક્શનના કારણે તે છેલ્લી મેચ રમી શક્યો નહોતો. જો તે ફિટ થશે તો સીધો ટીમમાં પરત ફરશે, અન્યથા સંજુ સેમસન ફરી એકવાર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળશે. આર. અશ્વિને પણ સંજુના પર્ફોર્મન્સ પર સવાલો ઉઠાવતા કહ્યું છે કે ટીમ ઈન્ડિયા અભિષેકના પુનરાગમનની આશા રાખતી હશે. દરમિયાન કોલંબોમાં રમાનારી આ મેચમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે સાંજે વરસાદ પડવાની 60% જેટલી શક્યતા છે. જો વરસાદ પડે તો ઓવરોમાં કાપ મૂકવામાં આવી શકે છે અથવા મેચ ધોવાઈ જવાની પણ ભીતિ છે. જોકે, ફેન્સ માટે રાહતના સમાચાર એ છે કે મહત્વની મેચો માટે રિઝર્વ ડેની જોગવાઈ રાખવામાં આવી છે.
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનું પલ્લું હંમેશા ભારે રહ્યું છે. પાકિસ્તાન સામે અત્યાર સુધી રમાયેલી મોટાભાગની મેચોમાં ભારતે જીત મેળવી છે. પાકિસ્તાની ટીમ બાબર આઝમ અને રિઝવાનના બેટિંગ ફોર્મ અને શાહીન આફ્રિદીની સ્વિંગ બોલિંગ પર વધુ નિર્ભર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે કોલંબોમાં રમાનારા હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા અનુભવી સ્પિનર આર. અશ્વિને ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન અને ખેલાડીઓની માનસિક સ્થિતિ અંગે મહત્વની વાત કરી છે. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા અશ્વિને કહ્યું કે, “અભિષેક શર્માની ગેરહાજરીમાં ટીમે સંજુ સેમસનનો સાથ આપ્યો, પરંતુ મને લાગે છે કે ભારત હવે અભિષેકના પુનરાગમનની રાહ જોતું હશે. અભિષેક ભારત માટે વ્હાઈટ બોલ ક્રિકેટમાં એક ઘણો મોટો ખેલાડી સાબિત થઈ શકે તેમ છે.” ઉલ્લેખનીય છે કે, પેટમાં ઇન્ફેક્શનના કારણે અભિષેક નામિબિયા સામેની છેલ્લી મેચ રમી શક્યો ન હતો.
નામિબિયા સામેની મેચમાં સંજુ સેમસને 8 બોલમાં 22 રન (3 સિક્સ, 1 ફોર) ફટકારી આક્રમક શરૂઆત કરી હતી, પરંતુ તે મોટી ઇનિંગમાં બદલી શક્યો નહીં. સેમસનના આઉટ થવા પર અશ્વિને કહ્યું કે, “સંજુ સેમસન અત્યારે રન માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેનું મન મૂંઝવણમાં હોય તેવું લાગે છે. નામિબિયા સામે જે રીતે તે આઉટ થયો, તેના પરથી સ્પષ્ટ હતું કે તેનું માઇન્ડ ક્લિયર નથી. જો હું તેની જગ્યાએ હોત, તો તેને સલાહ આપત કે વધુ વિચાર્યા વગર માત્ર પોતાના ડર વગરની નેચરલ ગેમ રમે.” ભારતનો આગામી મુકાબલો રવિવારે કોલંબોમાં પાકિસ્તાન સામે છે. જો અભિષેક શર્મા મેચ સુધીમાં સંપૂર્ણ ફિટ નહીં થાય, તો સંજુ સેમસનને ફરી એકવાર પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. સેમસન પાસે પાકિસ્તાન જેવી મોટી ટીમ સામે શાનદાર પ્રદર્શન કરીને પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવવાની આ છેલ્લી અને શ્રેષ્ઠ તક હશે.
વધુ વાંચોઃ અમેરિકામાં બે અલગ-અલગ વિમાન દુર્ઘટનામાં કુલ 10 લોકોનાં મોત


