તમિલનાડુઃ ટેરર ફંડીંગ મામલે એનઆઈએના વિવિધ સ્થળો ઉપર દરોડા
બેંગ્લોરઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને નાબુદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુમાં ટેરર ફંડીંગ મામલે નેશનલ ઈન્કવાયરી એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની ટીમે તમીલનાડુ અને પોંડીચેરીના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા આતંકી ગતિવિધિ મામલે પાડ્યા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવી રહ્યું છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે એનઆઈએના અધિકારીઓએ કરાઈકલ, મયિલાદુથુરાઈ અને રાજધાની ચેન્નાઈમાં તપાસ હાથ ધરી છે. આ મામલો આતંકી સંગઠન આઈએસઆઈએસ માટે પ્રચાર અને ફંડ એકત્ર કરવા સાથે જોડાયેલો છે. કેસનો મુખ્ય આરોપી પહેલાંથી જ જેલમાં છે.
એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે આતંકી ગતિવિધિ સાથે જોડાયેલા મામલાની તપાસને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આઈએસ સાથે જોડાયેલા અનેક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે તાજેતરમાં જ તમીલનાડુમાંથી એક શખ્સની આ સંગઠન સાથે જોડાણના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં તમીલનાડુના અન્ય શહેરોમાં પણ આતંકી સંગઠન સાથે જોડાયેલા લોકોની વિગતો આપતાં તેમને ઝબ્બે કરવા એજન્સીઓએ ઠેર-ઠેર દરોડા પાડ્યા છે.