તરણેતરનો મેળો: લોકકલા, લોકસાહિત્ય, લોકજીવન, લોકસંસ્કૃતિ અને લોકગીતોનો મેળો
અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ તરણેતરના મેળાને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ મેળામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે આ ઉપરાંત ગ્રામીણ ઓલિમ્પિક રમતોનું આયોજન કરાયું છે. જેમાં ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનિત કરાયા હતા. આ ઓલ્મિપકમાં ગ્રામ્ય વિસ્તારોમાં રમવામાં આવતી લંગડી, કબ્બડી, વોલીબોલ, લાંબી કુદ, ગોળા ફેક, રસ્સી ખેચ અને દોડ જેવી રમતોનું આયોજન કરવામાં આવે છે.
તરણેતરનો મેળો એટલે લોકકલા, લોકસાહિત્ય, લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકબોલી અને લોકગીતોનો મેળો છે. વિવિધ સમાજનાં લોકો પોત-પોતાનાં પરંપરાગત વેશ પહેરવેશમાં મેળો માણવા આવે છે. તરણેતરનાં મેળાનું પ્રતિક રંગબેરંગી છત્રી છે. મેળામાં મહાલતા ઝાલાવાડીઓ આ છત્રી લઈને ફરતા જોવા મળે છે. મેળાનાં સ્ટેજ પાસે મસમોટી છત્રી મુકવમાં આવી છે. જે દુરથી પણ જોઈ શકાય છે. આ સ્ટેજ ઉપર હુડોરાસ, લોકગીત, લોકસાહિત્ય વિગેરેની સ્પર્ધા યોજવામાં આવે છે. તરણેતરના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શકયતા છે.