ધો.12 પછીના અભ્યાસક્રમ અંગે માહિતી આપતા કારકિર્દીનાં ઉંબરે’ પુસ્તકનું વિમોચન કરાયું
અમદાવાદ, 1 જુન, 2026: પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત ૨૧માં વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? પુસ્તકની ૨૧મી આવૃત્તિનું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત વરિષ્ઠ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું છે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં, ધોરણ ૧૦-૧૨ પછીના કોલેજ, કોર્ષ, સ્કોલરશીપ, એજ્યુકેશન લોન અને બેઠકોની સંખ્યા સહિતની તમામ વિગતો એક જ પુસ્તકમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે. પુસ્તક www.incgujarat.com અને www.careerpath.info પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાશે.
“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજી એ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સશક્તિકરણનું સૌથી મોટું માધ્યમ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, જેઓ છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સનિષ્ઠતાથી જોડાયેલા છે ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત ૨૧ વર્ષથી પ્રતિબદ્ધતા સાથે આ પુસ્તકનું પ્રકાશન કરવું એ માત્ર એક પુસ્તક નથી, પરંતુ ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્યને સાચી દિશા આપતો સેવાયજ્ઞ છે.
આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ છેલ્લા બે દાયકાથી આ પુસ્તકના માધ્યમથી ગુજરાતના સરહદી અને ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ પક્ષની યુપીએ સરકારે “શિક્ષણના મુળભૂત અધિકાર” અપાવ્યો હતો પરંતુ તેનો અયોગ્ય અમલીકરણને પગલે વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરને અવરોધે છે. ગુજરાતના વાલી – વિદ્યાર્થીઓ અથાક મહેનત – પરિશ્રમ કરી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે રાજ્ય સરકારની જવાબદારી બને છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને કામગીરી કરે. મોંઘીદાટ કેરિયર કાઉન્સિલિંગ ફી ન ભરી શકતા પરિવારો માટે આ પુસ્તક વરદાનરૂપ છે. ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગીની આ અવિરત સેવાયાત્રા અભિનંદનને પાત્ર છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે જ્યારે વિદ્યાર્થી ધોરણ ૧૦ કે ૧૨ પાસ કરે છે, ત્યારે તેની સામે કારકિર્દીના અનેક રસ્તા હોય છે. યોગ્ય માર્ગદર્શનના અભાવે પ્રતિભાઓ કરમાઈ ન જાય તે માટે ‘કારકિર્દીનાં ઉંબરે’ પુસ્તક એક ઉત્તમ પથદર્શક બને છે. શિક્ષણ ક્ષેત્રના પોતાના ૩૦ વર્ષના બહોળા અનુભવનો નીચોડ ડૉ. મનીષ દોશીએ આ પુસ્તકમાં મૂક્યો છે, જે પ્રશંસનીય છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી જણાવ્યું હતું કે ‘કારકિર્દીનાં ઉંબરે’ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર કોર્ષની માહિતી જ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં માનવીય ઉચ્ચ ગુણોના વિકાસ માટેની વિગતો પણ વણી લેવાઈ છે.
કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી (એન્જિનિયર) જણાવ્યું હતું કે, ‘કારકિર્દીનાં ઉંબરે’ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી ઉપલબ્ધ ૩૦૦ થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.


