ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જવાહર મેદાનમાં બાકી રહેલા દબાણો પણ બુલડોઝર ફેરવી દેવાયું
ભાવનગરઃ શહેરના જવાહર મેદાનમાં દબાણો માથાના દુઃખાવારૂપ બન્યા હતા. કેટલાક દબાણકારોએ તો પોતાની માલીકીની જગ્યા હોય તેમ પાકા મકાનો પણ બનાવી દીધા હતા. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બે દિવસ પહેલા જ દબામો હવાવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે લોકોના ભારે વિરોધ વચ્ચે કામગીરી મુલત્વી રાખીને બે દિવસમાં લોકોને દબાણો હટાવી લેવાની સુચના આપવામાં આવી હતી. બે દિવસના વિરામ બાદ આજે પુનઃ કાર્યવાહી હાથ ધરી જવાહર મેદાનમાં બાકી રહેલાં દબાણો પર જેસીબી ફેરવી દબાણોનો સફાયો કર્યો હતો.
ભાવનગર શહેરમાં જવાહર મેદાનમાં વારંવાર દબાણો દૂર કર્યે ગણતરીના દિવસોમાં પુનઃ દબાણોનો ખડકલો યથાવત થઈ જાય છે, ત્યારે આજથી બે દિવસ પૂર્વે મ્યુનિ.કોર્પોરેશનની દબાણ હટાવ ટીમ દ્વારા 35 થી 40 જેટલાં કાચાં ઝુપડાઓ દૂર કરાયા હતાં. અને તે સમયે લોકોનો ભારે વિરોધ થતાં મ્યુનિ.એ કામગીરી બંધ રાખી હતી. ત્યારબાદ ફરીવાર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આજે મ્યુનિ.કોર્પોરેશનની દબાણ હટાવ સેલ ફરી સ્થળ પર પહોંચી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાકી રહેલા દબાણો પણ હટાવ્યા હતાં. તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે પરંતુ માત્ર દબાણો દૂર કરવાથી તંત્રની ફરજ પૂર્ણ નથી થતી. ફરી આ સ્થળે દબાણો ન થાય એ અંગે તકેદારી ની જવાબદારી પણ તંત્ર ની જ છે. આથી હવે આ અંગે નક્કર પગલાં લેવા અનિવાર્ય હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલા જવાહર મેદાન ખૂબજ મોટુ છે. એક સમયે ભાવનગર મહુવા નેરોગેજ ટ્રેન જવાહરનગર નજીકથી પસાર થતી હતી, પરંતુ આ ટ્રેન વર્ષોથી બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેક પણ કાઢી નાંખવામાં આવ્યા હતા. રેલવેની માલીકીની કરોડો રૂપિયાની જમીન પર પણ ગેરકાયદો દબાણો થઈ ગયા છે. લોકોએ રેલવેની જમીન પર પાકા મકાનો પણ બાંધી દીધા છે. રેલવેના સત્તાધિશો દ્વારા આ જમીનમાંથી દબાણો દુર કરીને જમીન વેચી દેવામાં આવે તો કરોડો રૂપિયાની રેલવેને આવક થાય તેમ છે.